રાજકોટ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમી રાજકોર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. વહેલી સવારથી જ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તત્પર એવા રાજકોટ જિલ્લાવાસીઓ મતદાન કરી કરી રહ્યાં છે. ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા, તેમના ધર્મ પત્ની થતા ધારાસભ્ય ગીતાબા જાડેજા, જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાથી લઈને ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મતદાન કર્યુ હતું. હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ મતદાન કર્યુ હતું. તેમજ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

- Advertisement -
મતદાનથી લોકશાહી બચે છે- કુંવરજી બાવળિયા
કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ ખાતે વીંછિયા કન્યા પ્રાથમિક શાળા નંબર 2માં સવારે 7 કલાકે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે તેમણે પોતાનો પવિત્ર મત આપી મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, મતદાનથી સત્તા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે, ખેડૂત પણ 5 વર્ષે પાક બદલે છે, એ જ રીતે હવે જનતાને પણ મોકો મળ્યો છે નગરસેવકરૂપી પાક બદલવાનો, તેથી હું જસદણની જનતાને મતદાન કરવા અપીલ કરું છું.

કોંગ્રેસ દિશા વિહીન છે, ભાજપ જ જંગી બહુમતીથી વિજય મેળવશે- જયેશ રાદડિયા
મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યુ હતું આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપ જામકંડોરણા તાલુકાના દરેક ઉમેદવારો જીતના વિશ્વાસ સાથે આ ચૂંટણીમાં ઉભા છે. વર્ષો સુધી એક ચક્રીશાસન કરતી કોંગ્રેસના ભાજપે સૂપડા સાફ કરી નાખ્યા છે, કોંગ્રેસ દિશા વિહીન છે અને દિશા વિહીન જ રહશે. આ ચૂંટણીમાં પણ ભાજપ જ જંગી બહુમતિથી વિજય મેળવશે. હું જામકંડોરણા તાલુકાના સર્વે નાગરિકોને મતદાન કરવા અપીલ કરું છું.
- Advertisement -

ગોંડલમાં રાજવી પરિવારે મતદાન કર્યુ
ગોંડલના રાજવી પરિવારે પણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. ગોંડલના રાજવી જ્યોતિઆદિત્યસિંહ જાડેજાએ પરિવાર સાથે દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.


