ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંકની 27 વર્ષ બાદ ચૂંટણી યોજાતા આજે રાજકોટ સહિત સાત મતદાન કેન્દ્રો પરથી મતદાન યોજાયું હતુ. જેમાં 332માંથી 320 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 12 મતદારો મતાધિકારથી દૂર રહ્યા હતા. જેમાં ભાઈઓમાં 288 માંથી 277 તો બહેનોમાં 44 માંથી 43 એ મતદાન કર્યુ હતુ. હવે 19 મીએ પરિણામ જાહેર થશે જેમાં ખ્યાલ આવશે કે ભાજપનુ ખુલ્લુ સમર્થન મેળવતી સહકાર પેનલ વિજેતા બનશે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો દ્વારા બળવો કરી બેંકમાં ચાલતા કૌભાંડો બંધ કરાવવા માટે ચૂંટણી લડતી સંસ્કાર પેનલ વિજેતા બનશે.
રાજકોટ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંક ની બ્રાન્ચ ખાતે ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 3.37 લાખ સભાસદો એટ્લે કે શેર હોલ્ડર છે. તેના પ્રતિનિધિ તરીકે 332 મતદારો મતદાન છે. રાજકોટ શહેરમાં 196 મતદારો મતદાન કરશે.રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા-ભાણેજની પેનલ ઊતરતા જંગ રસપ્રદ બન્યો હતો, જોકે ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર દ્વારા સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત પાંચ ફોર્મ રદ કરી દીધાં હતાં, જેથી કલ્પક મણિયારે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં, જેમાં કોર્ટે સુનાવણી હાથ ધરી કલ્પક મણિયારની અરજી નકારી કાઢતાં સંસ્કાર પેનલના કલ્પક મણિયારને જોરદાર ઝટકો લાગ્યો હતો.વર્ષ 1953માં સ્થપાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વર્ષ 1969 સુધી રહેલા ચાર ચેરમેન કોંગ્રેસી હતા. ત્યાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ગણાતા અરવિંદભાઈ મણિયારની એન્ટ્રી થઈ અને તેઓ ચેરમેન બન્યા બાદ આ બેંકમાં સંઘનો પાયો નખાઈ ગયો. જોકે એનાં 55 વર્ષ બાદ આ બેંક સામે અરવિંદભાઈના જ પુત્ર અને સંસ્કાર પેનલના આગેવાન કે જેમની ઉમેદવારી રદ થઈ ચૂકી છે તેમના દ્વારા બળવો કરવામાં આવતાં 28 વર્ષ બાદ આ બેંકમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે.મામા સામે પડેલા ભાણેજ કલ્પક મણિયારે જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 10 લાખ લોકોનું હિત જોડાયેલું છે અને આ બેંકને કૌભાંડ મુક્ત કરવામાં આવે તે માટેની અમારી લડાઈ છે. સ્વયંસેવકોથી ચાલતી આ બેંક છે જેથી આમાં કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય. છઇઈં એ ક્લીન ચીટ આપી તે વાત સદંતર ખોટી છે. કારણ કે 13 મી સપ્ટેમ્બરે રીઝલ્ટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર સાથેની બેઠક હતી અને તેમાં ફરીથી ઓડિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -
દરમિયાન આજે સહકાર પેનલના માધવ દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કોઇ જ કૌભાંડો થયા નથી. બેંકને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે સંસ્કાર પેનલના ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકને કૌભાંડ બનાવવા માટેનુ અમારુ અભિયાન છે. અમે જીતશું તો સૌપ્રથમ આ કૌભાંડો બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.