છેલ્લાં દોઢ-બે મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓએ કામનો કર્યો બહિષ્કાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સર્કિટ હાઉસના 40થી વધુ કર્મચારીઓ પી.એફ., પગાર સહિતના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી આ તમામ કર્મચારીઓના પ્રશ્ર્નોનો નિવેડો નહીં આવે ત્યાં સુધી સરકીટ હાઉસ ખાતે આવતાં અધિકારીઓ અને રાજકીય મહાનુભાવોને સેવા પણ નહીં આપવામાં આવે. આમ આજરોજ સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયેલા તમામ કર્મચારીઓએ રોષ ઠાલવ્યો છે.
વધુમાં સરકીટ હાઉસના 40થી વધુ કર્મચારીઓનો છેલ્લાં દોઢ-બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન મળતાં કર્મચારીઓ રોષે ભરાયા છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી છતાં પણ લઘુત્તમ વેતન ઉપરાંત મળવાપાત્ર લાભ જેવા કે પી.એફ. અને બોનસ મળ્યા નથી જેથી આજરોજ તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી સરકીટ હાઉસ ખાતે ઉતરતાં અધિકારીઓ કે રાજકીય મહાનુભાવોને કોઈ સેવા નહીં આપવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી.