ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં 104% વરસાદ વરસાવ્યા બાદ હવે નૈઋત્યનું ચોમાસું 30 સપ્ટેમ્બરથી વિદાય લેવાનું શરૂ કરે તેવી સંભાવના છે. વિદાય અગાઉ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં 25 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય થતી હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાની વિદાય પાંચ દિવસ મોડી છે. 30 સપ્ટેમ્બરના કચ્છથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે.
આ પછી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી તબક્કાવાર વિદાય લઈ લેશે. હવામાન વિભાગના મતે આવતીકાલે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં જ્યારે શનિવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ પછી વરસાદની સંભાવના નહિવત્ છે.
આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
આગામી 3 દિવસ અમદાવાદમાં 37 ડિગ્રી સુધી ગરમીનો પારો જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વખતે 72 તાલુકામાં 40 ઈંચથી વધુ જ્યારે 141 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ નોંધાયો હતો.