ભગવંત માનને ઘાતક કેમિકલ પોલોનિયમ આપવાનો દાવો કરાયો
ખાલિસ્તાની સંગઠનની બૉમ્બથી ઉડાવાની ધમકી ખોટી નીકળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં જ્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દાખલ છે, ત્યાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી હુમલો કરવાની ધમકી મળી હતી. જોકે, ઈમેલમાં ઉલ્લેખિત સમયે આવી કોઈ ઘટના બની ન હતી. આ ધમકી ખોટી સાબિત થઈ.
આ ધમકીભર્યા ઈમેલમાં, કથિત ખાલિસ્તાન નેશનલ આર્મીએ દાવો કર્યો હતો કે ભાઈ દિલાવર સિંહના વારસદારોએ સીએમ ભગવંત માનને પોલોનિયમથી ચેપ લગાવ્યો હતો. જો તેઓ બચી ગયા, તો તેઓ તેમની સાથે બીઅંત જેવા હાલ કરશે.
ઈમેલમાં ધમકી અપાઈ છે કે ફોર્ટિસ હોસ્પિટલમાંથી ફક્ત સીએમ ભગવંત માનની લાશ બહાર આવશે. પંજાબના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીઅંત સિંહને ચંદીગઢ સચિવાલયમાં માનવ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. જોકે, માનને ચેપ ક્યાં અને કેવી રીતે થયો તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.
પોલોનિયમ એક દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે જે ખૂબ જ ઝેરી છે. જોકે, આવી કોઈ ઘટના બની નથી. ધમકીમાં ઉલ્લેખિત સમયે કોઈ વિસ્ફોટ થયો નથી, જેના કારણે પંજાબ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ હોસ્પિટલને ઘેરી લીધી છે.
અહીં પાંચ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સક્રિય છે. સીએમ સિક્યુરિટીએ સમગ્ર હોસ્પિટલ વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે. ગેટ પર રમખાણો વિરોધી ટીમો અને રસ્તા પર મોહાલી પોલીસ તહેનાત છે.
મોહાલીના એસપી સિટી દિલપ્રીત સિંહે જણાવ્યું હતું કે, ‘સવારે 7:30 વાગ્યે, શાળાઓને અને ફોર્ટિસને ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. ત્યારબાદ, પાંચ બોમ્બ ડિસ્પોઝલ ટીમો રવાના કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આવશ્ર્યક સેવાઓ ખોરવાઈ ન હતી. તપાસમાં કંઈપણ શંકાસ્પદ બહાર આવ્યું નથી. અગાઉના ધમકીભર્યા ઇમેઇલનું આઈપી સરનામું પણ યુએસએનું હતું, અને તે ઇમેઇલ બાંગ્લાદેશથી મોકલવામાં આવ્યો હતો. પોલીસ ટીમો આગામી આદેશો સુધી તહેનાત રહેશે.’
મુખ્યમંત્રી ભગવંત માનને શરૂઆતમાં રવિવારે હાઈ બ્લડ પ્રેશરને કારણે મોહાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સોમવારે રજા આપવામાં આવી હતી અને તેઓ મોગામાં આપ સરકારની ડ્રગ વિરોધી રેલીમાં ભાગ લેવા ગયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, શ્ર્વાસ લેવામાં તકલીફ અનુભવાયા બાદ સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે હજુ સુધી હેલ્થ બુલેટિન જારી કર્યું નથી.



