પ્રતિબંધિત ટાપુ પર બોટથી પ્રવાસીઓ પહોંચાડવાના આરોપ
પ્રવાસીઓ રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિની પજવણી કરતા હોવાનો અરજદારનો દાવો
- Advertisement -
નંદનવન પ્રકૃતિ શિબિરના સંચાલકો સામે પગલા લેવા મરીન નેશનલ પાર્કના અધિકારીને રજૂઆત
અરજદાર ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢએ વન અને પર્યાવરણ મંત્રી સુધી ફરિયાદ કરી
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. કુલ આશરે 24 જેટલા ટાપુઓમાંથી માત્ર બેટ દ્વારકા અને અજાડ ટાપુ પર માનવ વસાહત છે, જ્યારે બાકીના મોટાભાગના ટાપુઓ નિર્જન છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્જન ટાપુઓમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ અથવા પૂર્વ મંજૂરી ફરજિયાત કરવામાં આવે છે.
દ્વારકા નજીકના 21 જેટલા નિર્જન ટાપુઓ (જેમ કે ધબધબો, રોઝી, પાનેરો, ખારા-મીઠા ચુષણા વગેરે) પર લોકોની અવરજવર મર્યાદિત અથવા પ્રતિબંધિત રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરનો દરિયાકાંઠો ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક વિસ્તાર છે, જેમાં ટાપુઓ, પ્રવાળ, મેંગ્રોવ અને દરિયાઈ જીવસૃષ્ટિનો સમૃદ્ધ વિસ્તારનો સમાવેશ થાય છે.
આ વિસ્તારોમાં દુર્લભ દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રવાળ ભીતો અને જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માટે માનવીય પ્રવેશ નિયંત્રિત કરવામાં આવે છે. આમ પ્રતિબંધ છતા થોડા પૈસાની લાલચે અને પ્રકૃતિ શિબિરના નામે અનેક લોકો દ્વારા નિયમનો ભંગ કરવામાં આવે છે. નંદનવન પ્રકૃતિ શિબિર દ્વારા દ્વારકાના પ્રતિબંધિત ટાપુ પર પ્રવાસીઓને ગેરકાયદે રીતે લઇ જવામાં આવે છે. આ પ્રવાસીઓ ત્યાં રક્ષિત દરિયાઇ જીવસૃષ્ટી સાથે પજવણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપમાં નંદનવન પ્રકૃતિ શિબિર બેટ સંચાલક હેંમતસિહ મનુભા વાઢેર અને રવી વાઢેરનું નામ સામે આવ્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત જાહેર કરાયેલા ચસણા ટાપુ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને લઈ જવાના મામલે જાગૃત નાગરિક દ્વારા મરીન નેશનલ પાર્કના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદાર ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢે તા. 8 ફેબ્રુઆરી, 2026ના રોજ સીસીએફ, મરીન નેશનલ પાર્ક, જામનગરને સંબોધીને આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ બેટ દ્વારકા નજીક આવેલ સુનામીના પગાર ચસણા ટાપુ પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા મારફતે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં બેટ ગામે નંદનવન પ્રકૃતિ શિબિરના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે બોટ મારફતે પ્રવાસીઓને ત્યાં લઈ જવામાં આવતું હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે આ પ્રવૃત્તિ દરમિયાન રક્ષિત દરિયાઈ જીવો, ખાસ કરીને ડોલ્ફીન જેવા જીવસૃષ્ટિના નિવાસસ્થાન નજીક પ્રવાસીઓને લઈ જવામાં આવતા હોવાથી તેમની પજવણી થતી હોવાની શક્યતા છે. અરજદારનો આક્ષેપ છે કે સંબંધિત સંચાલકો પાસે સરકારની સક્ષમ સત્તા તરફથી કોઈ લાયસન્સ કે પરવાનગી લીધેલી નથી અને અંગત ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અરજદારએ જણાવ્યું છે કે આ પ્રવૃત્તિ અંગેના પુરાવા તરીકે સોશિયલ મીડિયામાં મૂકાયેલા ફોટા-વિડિયો તેમના પાસે ઉપલબ્ધ છે. તેથી મરીન નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા અને જવાબદાર સામે કાયદેસર પગલા લેવા માંગ કરવામાં આવી છે.
આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, વન અને પર્યાવરણ મંત્રી, આર.એફ.ઓ. નેશનલ મરીન પાર્ક દ્વારકા તેમજ પીસીસીએફને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ મામલો ગંભીર હોવાથી તપાસ બાદ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પ્રકૃતિ શિબિરના નામે ધંધો ચાલતો હોવાની ફરિયાદ
દેવભૂમિ દ્વારકા-જામનગરનો દરિયાકાંઠો ભારતના પ્રથમ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં આવે છે, જ્યાં પ્રવાળ ભીતો, મેંગ્રોવ અને દુર્લભ દરિયાઈ જીવસૃષ્ટિનું સમૃદ્ધ પર્યાવરણ છે. આ સંવેદનશીલ જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માનવીય પ્રવેશ નિયંત્રિત કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો પ્રકૃતિ શિબિરના નામે ધંધો ચલાવતા હોવાનો અને નિયમોનો ભંગ થતો હોવાની ફરિયાદો ઉઠી છે.
મરિન નેશનલ પાર્કમાં દરિયાઇ જીવસૃષ્ટિ
મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં દરિયાઇ જીવ ડોલ્ફીન, દરિયાઈ કાચબા, જેલીફિશ, ઓક્ટોપસ, પ્રોન, ક્રેબ તેમજ 49થી વધુ હાર્ડ કોરલ, 70 સ્પોન્જ, અને અનેક માછલી તથા મોલસ્ક પ્રજાતિઓનો
વસવાટ છે.
આ ઉપરાંત સી ક્યુકંબર, પ્રવાળ, સી હોર્સ, સ્ટારફિશ, મોલસ્ક, સ્પોન્જ તેમજ દુગોંગ, ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફીન અને ફિનલેસ પોર્પોઇઝ જે દુર્લભ દરિયાઈ સ્તનધારી જીવ છે.



