પ્લેન ઘરથી માત્ર 10 ફૂટ જેટલું જ દૂર પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલીના ગિરિયા રોડ પર આજે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન ક્રેશ થતાં પાયલોટનું કરુણ મોત નીપજ્યું છે. આ વિમાન અમરેલીમાં કાર્યરત એક ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. માહિતી અનુસાર, પ્લેન ક્રેશ થયા બાદ મોટો બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્લેનમાં સવાર એકમાત્ર વ્યક્તિ પાયલોટ હતા, જેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પાયલોટની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તે હજુ અકબંધ છે. જો કે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના બની હોઈ શકે છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ)ની ટીમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને દુર્ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા હાલમાં ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમરેલીના એસપી, સંજય ખરાતના જણાવ્યા પ્રમાણે, આ એક ટ્રેઈની પ્લેન હતું તે શાસ્ત્રીનગરમાં ક્રેશ થયું છે. આમાં અનિકેત મહાજન નામનો પાયલોટ હતો તે પ્લેન ઉડાવી રહ્યા હતા. કોઈ ટેક્નિકલ ખામી આવી હોવી જોઈએ જેના કારણે આ પ્લેન શાસ્ત્રીનગરમાં પડ્યુ હતું. આ પ્લેન પળવાથી સળગી ગયું હતુ. ફાયરના વિભાગ દ્વારા આ આગ કાબૂમાં લઈને પાયલોટનો મૃતદેહ મેળવ્યો છે.
આ અકસ્માત સ્થાનિક લોકોમાં રોષ છવાયો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, અમરેલીના આકાશમાં ખાનગી કંપનીના ટ્રેઇની પ્લેન અવારનવાર ઉડતા દેખાય છે. ત્યારે આ પ્લેન ઘરથી માત્ર 10 ફૂટ જેટલું જ દૂર પડ્યું છે. જો આ પ્લેન કોઈના ઘર પર પડ્યું હોત તો મોટી જાનહાની પણ થઈ શકી હોત.