અન્નક્ષેત્ર, ઉતારા, મંડળો, ટ્રસ્ટોને પ્લોટ ફાળવે તેવી માગ; 25મી ફેબ્રુઆરીએ ધ્વજારોહણ સાથે શરૂઆત
જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોનું ઉતારા મંડળના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોનું ઉતારા મંડળની બેઠક મળી હતી જેમાં 25 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યે સુદર્શન તળાવમાં સ્નાન કરી ભવનાથ મંદિરમાં સાધુ, સંતો, પદાધિકારીઓ, ઉતારા મંડળ, નગરશ્રેષ્ઠીઓની હાજરીમાં ધ્વજા રોહણ કરી લઘુકુંભ મહા શિવરાત્રી મેળાની શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે 1 માર્ચના મહા શિવરાત્રીની મધ્યરાત્રિના શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહૂતિ કરશે. આમ, જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટો દ્વારા લઘુકુંભ મહા શિવરાત્રીના મેળાની ઉજવણી માટે તૈયારી કરાઇ રહી છે.
- Advertisement -
ત્યારે આ મામલે જિલ્લા વહિવટી તંત્ર, મનપા, વનતંત્ર ,પોલીસ તંત્ર વગેરેએ સમાજ શ્રેષ્ઠીઓ, સાધુ, સંતો અને જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોના ઉતારા મંડળ સાથે બેઠક કરી લઘુકુંભ મહા શિવરાત્રી મેળાનું આયોજન કરવું જોઇએ. આ અંગે વ્હેલી જાહેરાત કરે તો ઉતારા મંડળોને પણ વ્યવસ્થા કરવામાં સરળતા રહે. ત્યારે આ અંગે નિર્ણય કરી સત્વરે પ્લોટની ફાળવણી કરે જેથી રાવટી નાંખી રસોડું ચાલુ કરવા અંગે આયોજન કરી શકાય. પોલીસ દ્વારા પાસનું વિતરણ કરવામાં આવે, મહાનગરપાલિકા દ્વારા સફાઇ, લાઇટ, પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
આ તકે રોપ વે શરૂ રાખવામાં આવે તેમજ સુદર્શન તળાવની સાફ સફાઇ કરી તે જળ અનામત રાખવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે. આ બેઠકમાં લક્ષ્મણભાઇ પીઠીયા, નાગદાનભાઇ ડાંગર, કાળાભાઇ સિંધલ, ગોવિંદભાઇ વેગળ, મગનભાઇ સાવલીયા,હરેશભાઇ ઠુમ્મર, લાલજીભાઇ અમરેલીયા, હરેશભાઇ ઘોડાસરા વગેરેની ઉપસ્થિતી રહી હતી.