પાંજરાપોળ ટ્રસ્ટ અને નાગરિક સમિતિ દ્વારા આયોજિત પ્રાર્થનાસભામાં નગરજનો-આગેવાનો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
- Advertisement -
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી તેમજ રાજ્યના જનપ્રિય નેતા વિજયભાઇ રૂપાણી સહિત 250 કરતા વધુ લોકોનું દેહાંત થયું તે સૌ સ્વર્ગસ્થની આત્માને શાંતિ માટે ચોટીલા ખાતે મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ તેમજ ચોટીલાના નગરજનો દ્વારા યોજાયેલા પ્રાર્થનાસભા માં આગેવાનો તેમજ નગરજનો એ ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ચોટીલા સાથે વિજયભાઈ રૂપાણી નો અતૂટ નાતો હતો તેઓ જ્યારે પણ ચોટીલા થી નિકળતા ત્યારે અચૂક શ્રીફળ વધેરીને માતાજીના દર્શન કરતા હતા. ચોટીલાના વિકાસ માં પણ વિજયભાઈનો સિંહફાળો હતો. ચોટીલાના આગેવાનો માટે વિજયભાઈ રૂપાણીનું ઘર એક એવુ સરનામું હતું જ્યાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ નિરાશ થઈને પરત નથી આવી. ચોટીલામાં અતિવૃષ્ટિ સમયે તેઓ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને પ્રોટોકોલની ચિંતા કર્યા વગર હેલીકોપ્ટર નું હોનેસ્ટ હોટલના ગ્રાઉન્ડ માં લેન્ડિંગ કરાવી પરિસ્થિતિ નો તાગ મેળવવા માટે આવ્યા હતા. તેમને ગુણોત્સવનો પહેલો કાર્યક્રમ ચોટીલાના ઠાંગા પંથકના કાળાસર ગામે આયોજીત કર્યો હતો.
પ્રાર્થનાસભામાં ઉપસ્થિત આગેવાનો નગરજનોએ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળતા ભાવુક થઇ ગયા હતા. વિજયભાઈ રૂપાણી સાથે પારિવારિક ઘરોબો ધરાવતા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી જય શાહ, ભાજપ અગ્રણી મેરુભાઈ ખાચર, મહાજન પાંજરાપોળના પ્રમુખ મુકેશભાઈ શાહ, રાજવી પરિવારના મહાવિરભાઈ ખાચર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, નવા ઝરીયા મહાદેવ મંદિર ના મહંત પૂજ્ય. બ્રમ્હચારી બાપુ, કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદીપભાઈ ખાચર, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન મકવાણા, ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, નવનાત વણિક સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, એડવોકેટ અક્ષયભાઈ શેઠ સહિત વેપારી અગ્રણીઓ પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -