પોરબંદરથી જામનગર, જૂનાગઢ અને સોમનાથ હાઇવે બંધ
અનેક માર્ગો ઉપર પાણીનું સામ્રાજ્ય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં સતત ધોધમાર વરસાદના કારણે મોટાપાયે રોડ અને હાઇવે બંધ કરાયા છે. ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદથી પાણીની આવક થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ જણાવ્યું કે, પોરબંદરમાં ત્રણ મુખ્ય સ્ટેટ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને પોરબંદરથી જામનગર, જૂનાગઢ અને સોમનાથ તરફ જતાં હાઇવે પર પાણીના ધસમસતા પ્રવાહને કારણે વાહન વ્યવહારને રોકવામાં આવ્યો છે.
- Advertisement -
પોરબંદર જિલ્લાના અનેક ગામડાંઓને મુખ્ય શહેરો સાથે જોડતા માર્ગો પણ બંધ કરાયા છે. નેરાણા, મોઢવાડા, બગવદર સહિતના રસ્તાઓ ઉપર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. રાણીવાવ, સિમર જેવા ગામોમાં પાણીની સ્તર વધતા આવવા જવાની શક્યતાઓ ખૂટી ગઈ છે. ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં કુલ 14 જેટલા માર્ગો બંધ થવામાં આવ્યા છે, જેમાં નવાગામ-ભડ-એરડા, ચૌટા-બગવદર-મોઢવાડા સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ વરસાદ જળવાઈ રહેવાની શક્યતા છે. તેથી લોકોને સાવચેત રહેવા અને અનાવશ્ર્યક મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીઓ લેવામાં આવી રહી છે.