રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ જા, ડીસીપી બાંગરવા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફની કાબિલેદાદ કામગીરી
પોલીસે મયૂર રૂપારેલિયાની ધરપકડ કરી તેના બે સાગરીતો જયદીપ અને દિલીપની શોધખોળ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ભૂમાફિયાઓ બેલગામ બન્યા છે અને ભૂમાફિયાઓને સીધાદોર કરવા શહેર પોલીસ કાબિલેદાદ કામગીરી કરી રહી છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં એક બિલ્ડરે તેની મેંગો માર્કેટ પાસે આવેલી જમીન પરથી 3 શખ્સે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવતા ભૂમાફિયાઓના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.
- Advertisement -
મળતી માહિતી મુજબ રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુરુવારે એક બિલ્ડરે તેની જમીન પરથી 3-શખ્સે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં 30 કરોડની જમીન બે ભૂમાફિયાઓ પડાવી લેવા માગતાં હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી છે. પોલીસે સીસીટીવીની લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ કરી એક ભૂમાફિયાની ઓફિસમાંથી લૂંટ ચલાવાયેલા કેમેરા જપ્ત કરી તપાસનો દોર આગળ ધપાવ્યો છે. રાજકોટમાં જમીનના કેટલાક માલિકો ભૂમાફિયાઓ સાથે મળીને કેવા કારસા કરે છે તેની વધુ એક મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.જેમાં જમીન માલિકે એક વખત એક મહિલા સહિત છ બિલ્ડરને જમીન વેચી નાખી હતી બાદમાં ભાવ વધતા તેઓએ બિલ્ડર સાથે છેતરપિંડી કરીને બે ભૂમાફિયાને આ જમીન વેચી નાખવાનો કારસો કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.રાજકોટમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા મનસુખભાઈ શિવાભાઈ તલસાણિયાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મેંગો માર્કેટ -પાછળ આવેલી ખોડલ એવન્યુ નામની તેમની સાઈટ પરથી મયૂર રૂપારેલિયા અને બે અજાણ્યા શખ્સે ઘસી આવીને સાઈટ પર રાખવામાં આવેલા સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવી છે. તેમજ સાઈટ પર ચોકીદારી કરતા વ્યક્તિને પણ એક ઓરડીમાં પૂરી દેવામાં આવ્યો હતો.
જેને પગલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી.મારૂ અને ટીમે તપાસ શરૂ કરતા તેઓને માહિતી મળી હતી કે, મયૂર રૂપારેલિયાએ નાનામવા સર્કલ પાસે આવેલા નાઈન સ્કસ્ક્વેર નામના બિલ્ડિંગની એક ઓફિસમાં કે જે બન્ને ભુમાફિયા બેલડી માંથી કોઈ એકની હોવાનું કહેવાય છે ત્યાં કેમેરા છુપાવ્યા છે. આથી પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને રૂ. 18000ની કિંમતના બે સીસીટીવી કબજે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સ્પષ્ટ થઈ છે કે, ખોડલ એવન્યુના નામની આ જમીન 4 એકર 35 ગુંઠા છે અને તેની હાલની બજાર કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા થાય છે. આ જમીન મનસુખભાઈ તલસાણિયા અને તેના છ પાર્ટનરે આજથી બે વર્ષ પહેલાં દિલીપભાઈ મકવાણા ઉર્ફે દિલીપ ભરવાડ પાસેથી ખરીદી હતી અને તેનું મોટાભાગનું ચૂકવણું પણ કરી દીધું હતું. કરાર મુજબ દિલીપ મકવાણાના નામે જ આ જગ્યા બિનખેતી કરવાની હતી પરંતુ જમીનનો ભાવ વધી જતા દિલીપ ભરવાડે બિનખેતીની કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ તેણે આ જમીન હવે તમને નથી વેચવી તેવું મનસુખભાઈ તલસાણિયાને સ્પષ્ટપણે કહી દીધું હતું. જમીનનો વિવાદ થતા મામલો સિવિલ કોર્ટમાં ગયો હતો.જ્યાં તમામ ચુકાદા મનસુખભાઈ તરફે આવ્યા હતા અને હજુ આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન ખોડલ એવન્યુમાં રોડ-રસ્તા સહિતનું કામકાજ થઈ ગયું હતું અને ત્યાં એક ચોકીદાર રાખીને સોલાર સીસીટીવી કેમેરા મેમરી ચિપ સાથેના ફિટ કરવામાં આવ્યા હતા.
બે દિવસ પહેલાં મયૂર રૂપારેલિયા તેના બે સાગરીત સાથે ઉપરોક્ત સ્થળે ગયો હતો અને આ જગ્યા અમે ખરીદી લીધી છે તેવી ધમકી મારી સીસીટીવીની લૂંટ ચલાવી ચોકીદારને ઓરડીમાં પૂરી નાસી છૂટયો હતો. પોલીસે મયૂર રૂપારેલિયાની ઘરપકડ કરી તેના બે સાગરીતો જયદીપ અને દિલીપની શોધખોળ શરૂ કરી છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે, આ જમીન શહેરની કુખ્યાત ભૂમાફિયા બેલડીએ ખરીદી લેવાનો કારસો રચી દિલીપ ભરવાડ સાથે મળીને તેઓએ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું.જોકે હવે મયૂરની પૂછપરછ બાદ વધારાની સત્ય વિગતો બહાર આવશે તે
ચોક્કસ છે.