મહિનાઓથી બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનોના દબાણ સામે આખરે સત્તાધારી સરકારે ઘૂંટણ ટેકવી દીધા છે.
ભ્રષ્ટાચાર અને ખામીયુક્ત આર્થિક નીતિઓ વિરુદ્ધ થયેલા આ વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ, પીએમ રોસેન જેલ્યાઝકોવ અને તેમની કેબિનેટે ગુરુવારે રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાની જાહેરાત ટેલિવિઝન પર સીધી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સંસદમાં સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ(No Confidence Motion) પર મતદાન થાય તેના બરાબર થોડી જ મિનિટો પહેલાં આ પગલું ભરવામાં આવ્યું હતું.
- Advertisement -
જનતામાં ભારે આક્રોશ ફેલાયો હતો
બલ્ગેરિયાની સરકાર પર ખરાબ આર્થિક નીતિઓ અને ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવામાં સતત નિષ્ફળતાના આરોપો હતા. આ કારણોસર, જનતામાં ભારે આક્રોશ ફેલાયો હતો, જેના પરિણામે અઠવાડિયાઓથી મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, જેનાથી દેશનું વાતાવરણ સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યું હતું. આ ગંભીર સ્થિતિને જોતાં, રોસેન જેલ્યાઝકોવને સમજાયું કે રાજીનામું આપી દેવામાં જ સમજદારી છે.
નાગરિકોની વાત સાંભળીને રાજીનામું
- Advertisement -
રાજીનામું આપતી વખતે પીએમ રોસેને કહ્યું કે, ‘અમે સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા નાગરિકોની વાત સાંભળી રહ્યા છીએ. યુવાનો હોય કે વૃદ્ધો, દરેકે અમારા રાજીનામા માટે અવાજ ઉઠાવ્યો છે અને નાગરિકોની આ શક્તિને સમર્થન અને પ્રોત્સાહન મળવું જોઈએ.’
1 જાન્યુઆરીએ શું થવાનું હતું?
નોંધનીય છે કે બલ્ગેરિયા 1 જાન્યુઆરી, 2026ના રોજ યુરોઝોનમાં સામેલ થવા જઈ રહ્યું છે. આટલા મહત્ત્વના આર્થિક ફેરફાર પહેલાં જ જનતાનો ગુસ્સો અને સરકારના રાજીનામાથી આવેલા આ રાજકીય ભૂકંપે દેશને મોટો આંચકો આપ્યો છે. વિરોધ પ્રદર્શનોના કારણે સરકારે ગયા અઠવાડિયે જ, 2026ની પોતાની યુરો બજેટ યોજના પણ પાછી ખેંચી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષોમાં બલ્ગેરિયામાં સાત રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં રાજકીય અને સામાજિક વિભાજન કેટલું ઊંડું છે.
હવે આગળ શું?
રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ એ પણ સરકારને રાજીનામું આપવા હાકલ કરી હતી. તેમણે ફેસબુક પર સંદેશ આપતા કહ્યું હતું કે, ‘લોકોના અવાજ અને માફિયાના ડરની વચ્ચે, લોકોની વાત સાંભળો.’
બંધારણીય રીતે મર્યાદિત સત્તાઓ ધરાવતા રાષ્ટ્રપતિ રાદેવ, હવે સંસદની પાર્ટીઓને નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરવા માટે કહેશે. જો તેઓ નિષ્ફળ જશે, તો દેશને ચૂંટણી ન થાય ત્યાં સુધી ચલાવવા માટે એક વચગાળાની સરકાર નિયુક્ત કરવામાં આવશે.




