વંથલીમાં રૂપાલાનું પુતળુ દહન કરનારની અટકાયત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
- Advertisement -
રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રીય સમાજ વિષે કરેલી ટિપ્પણીનો વિરોધ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ રાજપુત સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં તેને માંગ કરી હતી 3 દિવસમાં રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે અને જો માંગ નહીં સ્વીકારાય તો રાજકોટમાં હજારો લાખો રાજપુત દ્વારા સંમેલન યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ત્યારે જૂનાગઢ રાજપુત સમાજના આગેવાનો દ્વારા પુરૂષોત્તમ રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણી મામલે રોષ વ્યક્ત કરી રાજકોટની બેઠક રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
જ્યારે કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી સમગ્ર ક્ષત્રીય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના એક કાર્યક્રમમાં અનુસુચિત સમાજ માટે અણગમો વ્યક્ત કરી લાગણી દુભાવી હતી આ મામલે વંથલીના અજય વાણવી દ્વારા એસ્ટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા અરજી પણ કરી છે. ત્યારે વંથલીમાં અજય વાણવીએ રૂપાલાના પુતળા દહન કરી સુત્રોચ્ચાર કર્યા હતા. જે મામલે પોલીસે પાંચ લોકોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.