‘5 વર્ષ પૂર્ણિયામાં રહેવું હોય, તો રૂ.1 કરોડ આપવા જ પડશે’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવ અને તેમના સહયોગી અમિત યાદવ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ફોન પર ₹1 કરોડની ખંડણીની માંગ કરવા બદલ તેમની સામે મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પપ્પુ યાદવના સહયોગી અમિત યાદવે એક વેપારી પાસેથી ફોન પર 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી, ત્યારબાદ પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 જૂન 2024ના રોજ પપ્પુ યાદવના નજીકના સાથી અમિત યાદવે ફર્નિચરના વેપારીને ફોન પર ધમકી આપી હતી કે જો તેને 5 વર્ષ પૂર્ણિયામાં રહેવું હોય તો એક કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો 1 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો તેમણે પૂર્ણિયા છોડી દેવું પડશે. એટલું જ નહીં નેતાના સહયોગી દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ફરિયાદના આધારે સાંસદ પપ્પુ યાદવ અને અમિત યાદવ વિરુદ્ધ મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં તારીખ 10.06.2024ના રોજ કેસ નંબર 93/2024 આઇપીસીની કલમ 385/504/506/34 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્ણિયા એસપી દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ફર્નીચરના એક વેપારીની ફરિયાદ પર પૂર્ણિયાના નવા સાંસદ વિરુદ્ધ ઋઈંછ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે ત્રણ વર્ષ પહેલા 02.04.2021ના રોજ માનનીય સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે 10 લાખ રૂપિયા ખંડણીની માંગણી કરી હતી. વર્ષ 2023ની દુર્ગા પૂજા દરમિયાન, મોબાઇલ અને વોટ્સએપ કોલ્સ પર પણ 15 લાખ રૂપિયા, બે સોફા સેટની માંગ ઉપરાંત ધમકીઓ આપીને અભદ્ર ગાળો ભાંડવામાં આવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણી વખતે પણ માનનીય સાંસદ રાજીવ રંજન ઉર્ફે પપ્પુ યાદવના ખાસ મિત્ર અમિત યાદવે તા 05.04.2024ના રોજ મોબાઈલ પર 10થી 15 જેટલા કોલ કરી સાંસદ પપ્પુ યાદવના નિવાસસ્થાન અર્જુન ભવન પૂર્ણિયા ખાતે ફોન કરી 25 લાખની ખંડણીની માંગ કરી હોવાનો ફર્નીચરના વેપારીએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તારીખ 04.06.2024ના રોજ અમિત યાદવે ફરી ફર્નિચરના વેપારીના મોબાઇલ પર ધમકી આપી હતી કે, તેને 05 વર્ષ પૂર્ણિયામાં જ રહેવાનું છે અને એક કરોડ નહીં આપે તો પૂર્ણિયા છોડીને જવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં પૂર્ણિયાથી અપક્ષમાં નવા ચૂંટાયેલા સાંસદ પપ્પુ યાદવ પર ખંડણી માંગવા બદલ ઋઈંછ એ કોઈ નવી વાત નથી. બાહુબલી અને દબંગ તરીકેની છબી ધરાવતા પપ્પુ યાદવ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 41 કેસ પેન્ડિંગ છે. પપ્પુ યાદવને બે કેસમાં દોષી પણ ઠેરવવામાં આવ્યા છે. હાલ આ બંને કેસમાં પપ્પુ યાદવ જામીન પર બહાર છે.



