યુદ્ધમાં અત્યાર સુધીમાં 170 મીડિયા કર્મચારીઓનાં મોત
ખાસ-ખબર ન્યૂઝ ગાઝા, તા.9
સોમવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં દાઝી ગયેલા પેલેસ્ટિનિયન પત્રકાર અહેમદ મન્સૂરનું મૃત્યુ થયું. આ હુમલામાં કુલ બે પત્રકારોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, પેલેસ્ટાઇન ટુડેના રિપોર્ટર મન્સૂર આગની લપેટમાં ચીસો પાડતા અને સંઘર્ષ કરતા જોવા મળ્યા. લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા.
ઇઝરાયલી સૈન્યએ સોમવારે હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે તેણે પત્રકાર હસન એલ્સ્લેયેહ નિશાન બનાવ્યો હતો. હસન એલ્સ્લેયેહ પર 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. આ હુમલામાં એલ્સ્લેયેહ ઘાયલ થયા હતા.
ઇઝરાયલને ટેકો આપતી વોચડોગ સંસ્થા, ઓનેસ્ટ રિપોર્ટિંગે 2023માં હમાસ નેતા યાહ્યા સિનવાર સાથે એલ્સ્લેયેહનો ફોટો પ્રકાશિત કર્યો હતો. આ પછી, સીએનએન, રોઇટર્સ અને એસોસિએટેડ પ્રેસે તેમની સાથેના તેમના તમામ કરારો સમાપ્ત કરી દીધા.
2023માં ઇઝરાયલના હુમલા યુદ્ધ શરૂ થયા પછી 170થી વધુ મીડિયા કર્મચારીઓ માર્યા ગયા છે. જ્યારે, ગાઝાના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 211 પેલેસ્ટિનિયન પત્રકારો માર્યા ગયા છે.
માનવાધિકાર જૂથોએ આ હુમલાની નિંદા કરી છે. કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સે ઇઝરાયલ પર વારંવાર મીડિયા કર્મચારીઓને નિશાન બનાવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો.



