તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહીં અને તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટને આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમો અંગે ખૂબ જ કડક દેખાઈ રહ્યા છે. ત્યારે હવે એવા અહેવાલ આવ્યા છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહીં અને તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વગાનને અમેરિકાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. ઇમિગ્રેશન પર વાંધો ઉઠાવ્યા બાદ તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
જણાવી દઈએ કે રાજદૂત વગાન પાસે માન્ય યુએસ વિઝા અને તમામ જરૂરી મુસાફરી દસ્તાવેજો હતા અને તેઓ ખાનગી મુલાકાતે લોસ એન્જલસ જઈ રહ્યા હતા, પરંતુ યુએસ ઇમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમને અટકાવવામાં આવ્યા. આ પછી તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. જોકે, યુએસ વહીવટીતંત્રના આ પગલાથી રાજદ્વારી પ્રોટોકોલ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન સરકાર તેમને ઇસ્લામાબાદ બોલાવી શકે છે.
આ ઘટના અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટને આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે.
તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વગાન પાકિસ્તાન વિદેશ સેવામાં લાંબા સમયથી છે. તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીથી લઈને લોસ એન્જલસમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલમાં ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ, મસ્કતમાં રાજદૂત અને નાઇજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેવા આપી છે.