વિશ્ર્વ હિંદુ પરિષદ બજરંગ દળ, એનએસયુઆઈ અને રાજકિય એકતા મંચે રેલી કાઢી શ્રદ્ધાંજલિ પાઠવી અને આક્રોશ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયો મોતને ભેટ્યા હતા. જેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ બન્યો છે. આ હુમલામાં ગુજરાતના પણ 3 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. ગુજરાતના અનેક સંગઠનો દ્વારા ઠેર ઠેર કેન્ડલ માર્ચ, રેલી, યાત્રા કાઢી આતંકીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે રાજકોટ ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, એનએસયુઆઇ અને રાજકીય એકતા મંચ દ્વારા કેન્ડલ માર્ચ અને રેલી કાઢવામાં આવી હતી. જેમાં આતંકીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરાયો હતો અને કડક પગલાં લેવા માંગ કરાઈ હતી. તેમજ દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ યાત્રામાં લોકો સ્વવયંભૂ રીતે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાવરકુંડલામાં આતંકી હુમલાને વખોડી પૂતળાં દહન તથા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ
સાવરકુંડલા શહેરમા રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાવરકુંડલા તેમજ ભાજપના તમામ સેલ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ નિર્દોષ નાગરિકો પર પહેલગામમાં થયેલા નિર્દય હુમલાના સમાચારથી સાવરકુંડલાના નાગરિકોમાં પણ ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. આવા તત્વોને સરકારે કોઈ પણ ભાગે એવો પાઠ ભણાવવો જોઈએ કે આતંકવાદી પ્રવૃત્તિની ખો ભૂલાય જાય તેવું આમજનતા ઈચ્છે છે શહેરની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.