ગિરનારની તપોભૂમિમાં ચારેકોર ગૂંજી રહી છે કૈલાશ કે નિવાસી સ્તુતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
ભવનાથ તીર્થક્ષેત્રમાં, મહાશિવરાત્રી મેળામાં સંત મહંતો, દિગંબર સંન્યાસીઓ અને ભાવિક ભક્તો શિવમય બન્યા છે. ભક્તજનો ભવ તારનાર ભવેશ્વરની ભક્તિ તન મન અને ધનથી કરી રહ્યા છે. ભવનાથ તીર્થમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. ગિરનારની તપોભૂમિમાં ચારેકોર કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું. સ્તુતિ ગૂંજી રહી છે.
- Advertisement -
પદ્મશ્રી કવિ રતન સ્વ. દાદ બાપુ એટલે દાદુદાન પ્રતાપદાન ગઢવી. તેમણે ગુજરાતના લોકસમાજને સમર્થ સાહિત્ય સર્જન ભેટમાં આપ્યું છે. તેમણે અનેક અમર કવિતાઓ, ગીત, સ્તુતી ભજનની રચનાઓ કરી હતી. જે આજે પણ ડાયરાઓમાં જીવંત રહી છે. સ્વ. કવિ દાદબાપુના પુત્ર લોકગાયક, યુવા કલાકાર જીતુભાઇ દાદે પોતાના પિતાશ્રીએ કરેલ લોકસાહિત્ય સર્જન, કવિતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
તેમણે જણાવ્યુ કે, મારા પિતાજી અહીં ગિરનારમાં 90ના દાયકામાં શિવરાત્રી મેળામાં આવ્યા હતા. મેળાનું વાતાવરણ ભક્તિમય હતું. તેમને એકાએક પ્રેરણા મળી અને ગિરનારની ગોદમાં શિવરાત્રીએ જ કૈલાશ કે નિવાસી. અમર સ્તુતિની રચના કરીને તેમણે ભગવાન ભવનાથના શ્રી ચરણમાં અર્પણ કરી હતી. જાણીતા સમર્થ ભજનીક શ્રી નારાયણ સ્વામીએ એ સમયે કંઠ આપીને આ રચનાને અમર કરી હતી.આજે પણ આ સ્તુતિનું લોકકંઠે અને ડાયરાઓમાં લોકો ભાવથી ભજન કરે છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, ક્ધયા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત અને સર્જન કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…. અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…. સહિતની સુપ્રસિદ્ધ રચનાઓ સ્વ.કવિ દાદબાપુએ સમાજને અર્પણ કરી છે. જે આજે પણ વિસરાઇ નથી. કવિ દાદબાપુનો ચાહકવર્ગ ખૂબ મોટો છે. તેમણે ગુજરાતી ફિલ્મો માટે પણ ગીતો લખ્યા હતાં. એક સમય તો એવો હતો કે, સૌરાષ્ટ્રમાં પૂ. નારાયણ સ્વામીનો ડાયરો હોય અને કૈલાશ કે નિવાસી. સ્તુતિનું સંગીત સાથે ગાયન ન થાય તેવું બને નહીં. તેમણે ભજનોની પણ રચના કરી હતી. આજે તો કોલેજમાં અભ્યાસ કરતાં નવયુવાઓ તેમના લોક સાહિત્ય સર્જનને લઈને પી.એચ.ડી પણ કરી રહ્યા છે. કવિ દાદ બાપુ પ્રત્યે જૂનાગઢને પણ ગૌરવ છે.લોક સાહિત્ય સર્જન માટે સ્વ.કવિ દાદબાપુને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી સન્માન અર્પણ કરીને ભારત સરકારે તેમનું બહુમાન કર્યું હતુ. કવિ દાદબાપુ સમૃદ્ધ લોક સાહિત્ય, કવિતા સહિતની રચનાઓ થકી અમર બની ગયા છે.



