ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસ પોતાના મધ્યમાં પહોચ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને દેશવિદેશના ભક્તોનો ભક્તિ સાગર છલકાયો છે. ભાવિકો વિવિધ પ્રકારની ઉપાસના કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી વખત અદભુત સંવેદના પ્રગટ કરીને મનો દિવ્યાંગો માટે સોમનાથ યાત્રાનું આયોજન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ડારી ટોલ પ્લાઝા નજીક કાર્યરત નિરાધાર નો આધાર આશ્રમ જેમાં 100 જેટલા મનોદિવ્યાંગને પ્રભુજીનું સ્વરૂપ માની સેવા કરે છે. આશ્રમ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની બસો મોકલીને મનો દિવ્યાંગોને શ્રી સોમનાથ મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. વિશેષ પ્રવેશ વ્યવસ્થા કરીને જે દિવ્યાંગ ચાલીના શકે તેઓને ગોલ્ફ કાર્ટ દ્વારા મંદિરમાં લાવવામાં આવ્યા હતા. દિવ્યાંગોને વિશેષ સંભાળ લઈ શાંતિપૂર્વક સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. દર્શન બાદ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે દિવ્યાંગ પ્રભુજીઓના સમૂહ માટે ધ્વજા પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશુદ્ધ આનંદ અને અપાર શ્રદ્ધા સાથે મનો દિવ્યાંગ પ્રભુજીઓ દ્વારા મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ ઢોલ શરણાઈ ના સૂર સાથે મનો દિવ્યાંગો મહાદેવની ભક્તિમાં જુમી ઉઠ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રભુજીઓનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાદેવનો ચિકિ પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ પ્રભૂજીઓને બસ દ્વારા શ્રી ગોલોકધામ તીર્થ ખાતે દર્શન કરાવવામા આવ્યા હતા. ગોલોકધામ પ્રવાસ પૂર્ણ થયે શ્રી સોમનાથ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં વિશેષ વ્યવસ્થા સાથે મનો દિવ્યાંગ પ્રભુજીઓને મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગો માટે સોમનાથ યાત્રાનું આયોજન
