ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ્ દ્વારા ભગવદ્ગીતા જયંતી ઉત્સવ પર ગીતા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની અને બહારની કોલેજોમાં તેમજ ઓપન ફોર ઓલ ભગવદ્ગીતા નિબંધ સ્પર્ધા યોજાશે. ભગવદ્ગીતા કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક ગ્રંથ નથી, પરંતુ વિશ્ર્વધર્મનો ગ્રંથ છે. જો વિશ્ર્વનો કોઈ એક જ ધર્મ હોય અને તેનો સંચાલક કોઈ ગ્રંથ હોય તો તે ગીતા જ છે તેથી ભારતમાં માત્ર એક જ ગ્રંથનો જન્મ દિવસ ઉજવવાની શરૂઆત થઈ અને આજ સુધી એ પરંપરા ચાલે છે.
- Advertisement -
આ સિદ્ધાંતોને સમજવા આમ તો સંસ્કૃત, દર્શનશાસ્ત્ર, આયુર્વેદ જેવા વિષયોનો અભ્યાસ જરૂરી બને છે અને તો જ સમજી શકાય છે. આજે આવું સમજવાવાળા લોકો ઘણાં ઓછા છે પરંતુ સદ્ભાગ્યે વારાણસીમાં ગુરુકુલમ્ના મોટા આચાર્ય રાજવૈદ્ય વિશ્ર્વનાથ ગુરુજીએ વેદ, ઉપનિષદ, આયુર્વેદનો સૂક્ષ્મ અભ્યાસ કરી ભગવદ્ગીતાના અનેક વિષયો સરળ ભાષામાં સમજાવ્યા છે અને તેઓની પાસે 14 વર્ષ સુધી સંસ્કૃત, વેદ, ઉપનિષદ તેમજ આયુર્વેદના અનેક ગ્રંથોનો અભ્યાસ આચાર્ય મેહુલભાઈએ કર્યો અને તે જ પરંપરાને આગળ વધારવા રાજકોટ ખાતે જ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ની સ્થાપના કરી.
સંસ્કૃત આર્ય ગુરુકુલમ્ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી ભગવદ્ગીતા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગત સમયે ‘ગીતા અને આયુર્વેદ’ વિષય પર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 2000 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ વખતે ભગવદ્ગીતા વિશે કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે તેમજ અન્ય વયસ્ક લોકો માટે પણ વિવિધ વિષયો પર ભગવદ્ગીતા નિબંધ સ્પર્ધા યોજાવાની છે જેમાં સર્ટિફિકેટ સાથે આકર્ષક ઈનામો વિજેતાઓ માટે રાખેલા છે. નિબંધ સ્પર્ધાના નિયમો: નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિ, બાજુમાં આપેલા 5માંથી કોઈ પણ એક જ વિષય પર નિબંધ લખી શકશે, નિબંધ માટે ભગવદ્ગીતા સંબંધિત કોઈ પણ પુસ્તક કે સાહિત્ય કે મહાપુરુષોના લેખોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાશે, નિબંધ 500થી 600 શબ્દોમાં એટલે કે 3થી 4 ફૂલસ્કેપ પાના લખવો અથવા પેજમાં ટાઈપ કરીને સેન્ડ કરવાનો રહેશે, નિબંધ જમા કરવાની અંતિમ તા. 1 ડિસેમ્બર 2024 છે. નિબંધ લખનારે ગૂગલ ફોર્મ ભરવું જરૂરી છે. નિબંધ પોતાની કોલેજમાં જમા કરાવવાનો રહી જાય તો ક્યૂઆર સ્કેન કરીને નિબંધ ગૂગલ ફોર્મ સાથે અપલોડ કરવો અથવા પોસ્ટલ એડ્રેસ પર કુરિયર કરી શકાશે. વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.