-2024ની ચૂંટણી ઉપરાંત સંસદના ચોમાસુ સત્ર પણ એજન્ડામાં સામેલ
-પ્રથમ વખત સોનિયા ગાંધી હાજર રહેશે: મમતા હાજરી આપશે
- Advertisement -
2024ની ચૂંટણીમાં ભાજપ-એનડીએ સામે સંયુક્ત લડત આપવા માટે દેશના 26 વિરોધ પક્ષોની આજે બેંગ્લુરુમાં મળનારી બેઠકમાં કોણ હાજર રહે છે કોણ નહી તેના પર નજર છે. એક તરફ પ્રથમ વખત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી તથા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ બેઠકમાં હાજરી આપશે અને આજે સાંજે સોનિયા ગાંધી તમામ વિપક્ષી નેતાઓને ‘ડીનર’ આપશે. બેંગ્લુરુની એક ફાઈવસ્ટાર હોટેલમાં મળનારી આ બેઠકમાં હાલમાંજ કૌટુંબિક-પક્ષીય બળવાનો ભોગ બનેલા એનસીપીના વડા શરદ પવાર હાજર રહેશે નહી.
તો દિલ્હી વટહુકમ મુદે કોંગ્રેસ પક્ષે સંસદમાં અને ખાસ કરીને રાજયસભામાં આમ આદમી પાર્ટીના લાભાર્થી આ વટહુકમનું સ્થાન લેનાર ખરડાનો વિરોધ કરવા જાહેરાત કરતા હવે આમ આદમી પાર્ટી આ બેઠકમાં હાજરી આપશે. બે દિવસની આ બેઠકમાં આજે રાત્રીના જ વિપક્ષના નેતાઓ બેંગ્લુરુ પહોંચી જશે. પ.બંગાળમાં હાલની પંચાયત ચુંટણીમાં હિંસાથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજયના મુખ્યમંત્રી તથા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ ખાસ ફોન કરીને મમતાને હાજર રહેવા રાજી કરી દીધા હતા. કોંગ્રેસ પક્ષે ભાજપ સ્ટાઈલથી ખાસ કરીને દક્ષિણના રાજયોના નાના પક્ષોને સાથે લઈને આ ગઢમાં ભાજપનો પ્રવેશ અશકય બનાવવાની વ્યુહરચના ઘડી છે.
આજે સાંજે સોનિયા ગાંધીની ડીનર બેઠક બાદ આવતીકાલે સવારે 11 વાગ્યે મુખ્ય બેઠકનો પ્રારંભ થશે અને તેમાં હાલ નેતૃત્વના પ્રશ્ન એક બાજુ મુકીને કોમન મીનીમમ પ્રોગ્રામ ઘડી કાઢવા માટે કોઈ સમીતીની રચનાની શકયતા તપાસશે તો બેઠકમાં તા.20થી શરુ થનારા સંસદના ચોમાસુ સત્રની રણનીતિ તૈયાર કરાશે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર તામિલનાડુના સીએમ એમ.કે.સ્તાલીન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સપાના વડા અખિલેશ યાદવ હાજરી આપશે.
- Advertisement -
શરદ પવાર આવતીકાલે સામેલ થશે
આજથી બેંગ્લોરમાં મળનારી વિપક્ષની બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર આવતીકાલે સવારે કર્ણાટકના પાટનગર પહોંચશે અને વિપક્ષોની બેઠકમાં હાજરી આપશે તેવી જાહેરાત થઈ છે. શ્રી પવાર પ્રારંભથી જ વિપક્ષો એક બને તેના પ્રયાસોમાં હતા અને તેમની ગેરહાજરીથી વિપક્ષી એકતાને ફટકો પડે તેવી શકયતા હતી.