અધિકારી જજ ના બની શકે, મિલકત તોડી પાડતા પહેલા 15 દિવસની નોટિસ જરૂરી: સુપ્રીમ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બુલડોઝરની કાર્યવાહી દ્વારા આડેધડ રીતે લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે જમીયત ઉલેમા એ હિન્દ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ ગવઇએ કહ્યું કે પોતાનું ઘર લોકો માટે એક સપનું હોય છે, તે તૂટવું ના જોઇએ. ગુનાખોરીની સજારૂપે લોકોનું ઘર તોડી પાડવું એ ક્યાંનો ન્યાય? લોકતંત્ર સિદ્ધાંતો અંગે પણ વિચારવા જોઈએ. કોઇનું ઘર એટલા માટે તોડી પાડવું કે તે દોષિત છે તે યોગ્ય નથી. આ ચુકાદાથી સૌથી મોટો ઝટકો ભાજપના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લાગ્યો છે.
દરેક વ્યક્તિ પોતાનું ઘર હોય, પોતાનું આંગણું હોય એવા સપનામાં જીવે છે. માનવ હૃદયની ઈચ્છા છે કે પોતાનું ઘર મેળવવાનું સપનું ક્યારેય છોડવું જોઈએ નહીં. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સતત બુલડોઝરની કાર્યવાહી બાદ જમિયત-ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લોકતંત્રમાં નાગરિકોના અધિકારોની રક્ષા થવી જ જોઈએ. સરકારની સત્તાનો દુરુપયોગ ન થવો જોઇએ. કાયદાને ધ્યાનમાં રાખીને જ સરકારે કામગીરી કરવી જોઈએ. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આ ફરમાન સંભળાવી રહ્યા છીએ. અમે નિષ્ણાતોના સૂચનોને પણ ધ્યાનમાં લીધા છે. કોઈપણ પ્રકારનો કેસ ચલાવ્યા વિના આ કેવી રીતે સજા કહેવાય. સરકાર આવુ ના કરી શકે. કાયદો વ્યવસ્થા જાળવવી એ રાજ્યની જવાબદારી. સરકાર દ્વારા મનમુજબની કાર્યવાહી ન કરી શકાય. આરોપી સામે પૂર્વાગ્રહને ધ્યાનમાં રાખી કાર્યવાહી ન થવી જોઈએ. કોર્ટે કહ્યું કે, કાયદાનું શાસન હોવું જોઈએ. બુલડોઝર એક્શન ભેદભાવપૂર્ણ ન હોય શકે. ખોટી રીતે ઘર તોડવા પર વળતર મળવું જોઈએ. જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે. અમે તમામ પક્ષને સાંભળ્યા બાદ આદેશ કર્યો છે. અમે નિષ્ણાંતોની સલાહ પર પણ વિચાર કર્યો છે. આરોપી એક હોય તો સજા આખા પરિવારને કેમ આપવી? કોઈને પણ કાર્યવાહી કરતાં પહેલા એનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. ગેરકાયદે બાંધકામ હોય તો પણ કાર્યવાહી કરવા માટે સમય આપવો જોઈએ. નિયમ મુજબ નોટિસ આપવી જોઈએ અને પછી કોઈ આવા એક્શન લેવાય. જેમના પણ મકાનો ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે તેમને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાત આધારિત ન હોવી જોઈએ. બુલડોઝર ન્યાય સ્વીકાર્ય જ નથી. બુલડોઝરની કાર્યવાહી જ કાયદાનો ન્યાય ન હોવાનો ભય દર્શાવે છે. કોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢતાં કહ્યું કે, મનમાનું વલણ સહન કરવામાં નહીં આવે. અધિકારીઓ અધિકારીઓ મનસ્વી રીતે કામ ન કરી શકે. સુનાવણી વિના કોઈને દોષિત જાહેર ન કરી શકાય.