કષ્ટભંજન દેવને US, UK કેનેડાથી રાખડીઓ આવી, શામળાજીમાં સોનાની રાખડી અર્પણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તોથી ઊભરાયું છે. આજે વહેલી સવારથી માઇભક્તો માતાજીનાં દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. માતાજીના જય ઘોષ સાથે પહોંચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે. શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષા બંધનના સંયોગ પર સોમનાથમાં વહેલી સવારે 4 વાગે ભાવિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવને રાખડીના વાઘાનો શણગાર કરાયો છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદને US, UK કેનેડા, આફ્રિકા, દુબઇ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશ-દુનિયામાંથી 30થી 35 હજારથી વધુ રાખડી અર્પણ કરાઈ હતી.
આજે રક્ષાબંધન નિમિત્તે માતાજીની વહેલી સવારે 6 કલાકે મંગળા આરતી કરાઇ હતી. આજે રક્ષાબંધન અને શ્રાવણ માસનો સોમવારનો સુગમ સંયોગ છે, જેને લઇને અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં દર્શન માટે માઇભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભક્તો દૂર દૂરથી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે.
રક્ષાબંધનને લઈ આજે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે અંબિકેશ્વર મહાદેવ આવેલું છે. માઈભક્તોની સાથે સાથે શિવભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા છે. આજે મા અંબાનું મંદિર ’બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યું છે, જેને લઇને અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો છે.
- Advertisement -
આજે રક્ષાબંધન નિમિત્તે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંદિરમાં માને રાખડી બાંધવામાં આવી હતી. અંબાજી મંદિરની ગાદી ખાતે તેમજ અલગ અલગ ભગવાનને રાખડી બાંધી હતી. આજે ભગવાનની સાથે સાથે દર્શનાર્થે આવતા ભક્તોને પણ રાખી બાંધવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસ અને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ભક્તોએ મોકલાવેલી રાખડીના વાઘાનો શણગાર કરાયો છે. ભક્તોએ મોકલાવેલા પત્રો દાદાના ચરણે મુકવામાં આવ્યા હતા. નાળિયેરી પૂનમ નિમિત્તે હનુમાનજી દાદાના સિંહાસનને નાળિયેરીના પાનનો શણગાર કરવામાં આવ્યો છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તો હનુમાનજી દાદાને રાખડીઓ ધરાવી તેમજ દાદાના ચરણે પત્રો મુકીને હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સંતો દ્વારા મંદિરે આવેલા હરિભક્તોને રાખડી બાંધી રૂડા આશીર્વાદ આપીને પવિત્ર રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
દાદાને મોકલાવેલીલ રાખડીઓમાં પિસ્તા ડેકોરેશન,આર્ટિફિશિયલ કેમિકલ, કાપડમાંથી બનાવેલી, ઉનમાંથી ગુંથીને બનાવેલી, મોરપંખવાળી, બાણ આકારની બનાવેલી, કોડીયો અને મોતીથી બનાવેલી, ટોન દ્વારા ડેકોરેશન કરેલી, ફૂલવાળી, શ્રીરામના મુખવાળી ડેકોરેશન, દાદાના ફોટાવાળી, ફુલ મોરપંખવાળી, કાપડમાંથી બનાવેલી, લાકડામાંથી બનાવેલી, દાદાની પેન્ટિંગવાળી, ઘૂઘરીવાળી, ઇન્ડિયા મેપ વાળી ચોખામાંથી બનાવેલી, ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ, વગેરેના આકારની રાખડી, 3 ફુટ ગદાવાળી, 2 ફૂટ કેકના આકારવાળી, 2 ફૂટ વડતાલ ધામ ઉત્સવના લોગાવાળી, 1.5 ફૂટ રામ ભગવાન ફોટાવાળી, 1.5 દાદાના ફોટાવાળી, 1 ફૂટ દાદાના ફોટાવાળી, 30થી વધુ દેશમાંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલી છે. જેમાં આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ અને ઞઅઊ સહિતના દેશમાંથી દાદા માટે રાખડી આવી છે. આમાં સોના-ચાંદીની પણ રાખડીઓ રાજ્ય, દેશ અને દુનિયામાંથી કુલ 30થી 35 હજાર રાખડી આવી છે.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આજે નારિયેળી પૂનમ અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનનું પર્વ રક્ષાબંધન છે. એટલે દાદાના સિંહાસને નાળિયેરના પાનમાંથી ડિઝાઈન બનાવીને શણગાર કરાયો છે. તો ભક્તોએ મોકલેલી રાખડીમાંથી બનેલા વાઘા દાદાને પહેરાવાયા છે. દાદાના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કરતા અને દાદા માટે રાખડીના વાઘા બનાવતા 3 દિવસનો સમય લાગ્યો હતો. તો આજે દાદા સમક્ષ ભક્તોએ લખેલા પત્રો પણ મૂકવામાં આવ્યા છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર આજરોજ બળેવ પૂર્ણિમની ઊજવણી કરાઈ હતી. જેમાં સવારે 8.00 કલાકે બ્રાહ્મણો દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવી હતી. જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવી હતી. દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ બળેવ પૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી.
શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા રાખડી અર્પણ કરવામાં આવી હતી. તેમજ મધ્યાહન સમયે દ્વારકાધીશ રાજાધિરાજને શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત પણ ધારણ કરાવવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા યજ્ઞોપવિતની અલાયદિ વિધિ કરાયા બાદ ઠાકોરજીને યજ્ઞોપવિત તેમજ રાખડી અર્પણ કરવામાં આવી હતી.