જૂનાગઢ પ્રભાતપુરનાં ખેડૂતોએ વીઘે 25 હજારનાં વળતરની ફટકારી નોટિસ
ચાર દિવસથી લાઇટ ન આવતા ઉનાળુ વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું
ગામમાં 250 જેટલાં ખેડૂત : 1800થી વધુ વિઘા ખેતીની જમીન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાનાં પ્રભાતપુર ગામનાં ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો ન મળતા ઉનાળુ વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું છે. જેને લઇને ખેડૂતોએ વકિલ મારફત બિલખા પીજીવીસીએલ કચેરીનાં ઇજનેરને વિઘે 25 હજાર રૂપિયા ચુકવવાની નોટીસ ફટકારી છે. ગામમાં 250 જેટલા ખેડૂત છે અને 1800 થી વધુ વીઘા જમીન છે. ખેડૂતોએ નોટીસ ફટકારતા ભારે ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજ ધાંધિયાથી ખેડૂતો કંટાળી ગયા છે. આંદોલન,રેલી, ધરણા કરી કંટાળ્યાં છે. ત્યારે જૂનાગઢ તાલુકાનાં પ્રભાતપુરનાં ખેડૂતોએ બિલખા વીજ કચેરીનાં ઇજનેરને નોટીસનો કરંટ આપતા ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
જૂનાગઢ તાલુકાનાં પ્રભાતપુરનાં ખેડૂતોએ ઉનાળું વાવેતરમાં તલ,મગ,અળદ સહિતનાં પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ સમયસર અને પુરતી વીજળી ન મળતા પાક નિષ્ફળ ગયો છે. પ્રભાતપુરમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો મળ્યો નથી. જેના કારણે પ્રભાતપુરનાં ખેડૂતોએ ચાલુ વર્ષે કરેલું ઉનાળુ વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું છે. વીજ પુરવઠા માટે ખેડૂતોએ વારંવાર ટેલીફોનીક તથા રૂબરૂ થઇ બિલખા પીજીવીસીએલનાં ઇજનેરને રજુઆત કરી હતી. પરંતુ કોઇ નિર્ણય આવ્યો ન હતો. અંતે થાકેલા ખેડૂતોએ વકિલનું શરણું લીધું હતું અને બિલખા પીજીવીસીએલનાં ઇજનેરને લીગલ નોટીસ ફટકારી છે. જૂનાગઢનાં પ્રભાતપુરમાં 250 જેટલા ખેડૂતો છે અને 1800 થી વધુ વીઘા ખેતીની જમીન છે. સમયસર વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ખેડૂતોએ એડવોકેટ પંકજ રૂપાપરા અને અમીત ડોબરીયાનાં માધ્યમથી લીગલ નોટીસ ફટકારી છે. નોટીસમાં કહ્યું છે કે, પ્રભાતપુરમાં ચાર દિવસથી વીજ પુરવઠો મળ્યો નથી. જેના કારણે ઉનાળુ વાવેતર નાશ પામ્યું છે. પ્રભાતપુરનાં ખેડૂતોને વિઘે 25 હજાર રૂપિયા ચુકવવા બિલખા પીજીવીસીએલનાં ઇજનેરને નોટીસ મોકલી છે.ખેડૂતોએ વીજ કચેરીનાં ઇજનેરને નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે અને વીજ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે એડવોકેટ પંકજ રૂપાપરાએ કહ્યું હતું કે, ઇજનેરને નોટીસ મોકલી છે. 15 દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે તો કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
બીલ ભરીએ છીએ તો વીજ પુરવઠાનો હક છે
ખેડૂતોએ કહ્યું હતું કે, વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો આપવામાં આવે છે. તેની સામે વીજ બીલ ભરીએ છીએ. સમયસર અને યોગ્ય સમયે વીજ પુરવઠો મળે તે ખેડૂતોનો હક છે. ખેડૂતો ગ્રાહક છે. સમયસર વીજ પુરવઠો ન આપી ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે.
- Advertisement -
સમગ્ર જિલ્લામાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન
જૂનાગઢ જિલ્લામાં વીજ ધાંધિયાની ફરિયાદો ઉઠી છે. ખેડૂતોએ કરેલું ઉનાળુ વાવેતર વીજ પુરવઠો સમયસર ન મળતા નિષ્ફળ જઇ રહ્યું છે. વારંવાર રજુઆત કરવા છતા કોઇ ઉકેલ આવતો નથી. સમગ્ર જિલ્લામાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. તેમજ બોર્ડ નજીકનાં ગામડામાં રાત્રીનાં વીજ પુરવઠો આપવામાં આવે છે.
જૂનાગઢમાં 26655 હેકટરમાં ઉનાળુપાકનું વાવેતર
જૂનાગઢ જિલ્લામાં 26655 હેકટરમાં જુદા જુદા પાકનું વાવેતર થયું છે.જૂનાગઢ જિલ્લામાં તલ,મગ,અળદ,મગફળી અને શાકભાજીનું વાવેતર થયું છે. જૂનાગઢ જિલ્લામાં 1520 હેકટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. આ ઉપરાંત સૌથી વધુ 8060 હેકટરમાં ઉનાળુ તલનું વાવેતર થયું છે.
યોગ્ય પ્રયુત્તર મળતો નથી
જૂનાગઢનાં પ્રભાતપુર ગામનાં ખેડૂતોએ કહ્યું હતું કે,વીજ પુરવઠા માટે વાત કરીએ છીએ ત્યારે વીજ કચેરીનાં અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રયુત્તર આપવામાં આવતો નથી. 24 કલાકમાં 3 થી 4 કલાક જ વીજ પુરવઠો આપે છે.