ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે 1962 કરૂણા હેલ્પલાઇન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.
તાજેતરમાં પંચાસર રોડ પર એક ગાયે નવજાત વાછરડીને જન્મ આપેલ, જેને જન્મની સાથે આગળના બન્ને પગમાં ખોડખાંપણ હોવાથી ભરતભાઇ ગોઠીએ 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરેલ. અને પંચાસર ચોકડી સ્થીત વેટ પોલિક્લિનિક ના પરિસરમાં જ ડો. હરિભાઇ ઠુમ્મર અને ડો. વિપુલ કાનાણિ દ્વારા નવજાત વાછરડીને તપાસી પગના ગોઠણનું સફળ ઓપરેશન કરવામાં આવેલ. જેના થકી નવજાત વાછરડીને નવજીવન પ્રાપ્ત થયેલ. કોલર ભરતભાઇ ગોઠી દ્વારા 1962 ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને અબોલ પશુઓની 1962 ટિમ દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવવામાં આવેલ.