કુલ પગારમાં ન્યુનતમ બેઝીક વેતન 50 ટકા ફરજીયાત: પીએફ કપાત 12ને બદલે 10 ટકા: ચાલુ વર્ષે જ કાયદો લાગુ કરવા ટારગેટ
કેન્દ્ર સરકાર નવો શ્રમ સુધારા કાયદો લાગુ કરવાની તૈયારીમાં છે અને આવતીકાલે તિરૂપતીમાં તમામ રાજયોના શ્રમમંત્રીઓની બેઠક યોજાવાની છે ત્યારે એવા સંકેતો સાંપડયા છે કે નવા કાયદામાં ચાર દિવસના સપ્તાહની કોઈ જોગવાઈ નથી. વર્ષોથી જુદા-જુદા 29 શ્રમ કાયદાના સ્થાને નવા ચાર શ્રમ કાનૂન લાગુ કરવાનો સરકારનો ઈરાદો છે.
કામદારોની સામાજીક સુરક્ષા સુનિશ્ચીત કરવાની સાથોસાથ નવી રોજગારી સર્જવા તથા ઉદ્યોગો અને કામદારો વચ્ચે વધુ વ્યવહારીક સંબંધો સ્થાપિત કરવાનો ઉદેશ છે. આવતીકાલે યોજાનારી બેઠકમાં નવા કાયદા વિશે સહમતી થવાની શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. કાયદાની જોગવાઈઓ વિશે મોટાભાગના રાજયો સંમત થઈ ગયા હોવાથી સર્વસંમતિના સંકેત છે અને તે સંજોગોમાં વ્હેલીતકે લાગુ કરવાનો માર્ગ ખુલી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન 29 શ્રમ કાનૂનોને સરકારે ચાર કાયદામાં સીમીત કર્યા છે. ચાર ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે.
- Advertisement -
અમુક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ કાલની બેઠકમાં સહમતી થઈ જવાની શકયતા છે.નવા કાયદાની જોગવાઈ હેઠળ કામદારોના કુલ વેતનમાં ન્યુનતમ 50 ટકા બેઝીક વેતન રાખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. પીએફ કપાત 12 ટકાને બદલે 10 ટકા કરવાની જોગવાઈ છે.સૂત્રોના કહેવા પ્રમાણે નવા કાયદાનો મુસદ્દો તત્કાળ તૈયાર કરવા તથા પ્રક્રિયા પૂર્ણ કરવા રાજયોને અનુરોધ કરવામાં આવશે. શ્રમ કાયદો 1લી જુલાઈથી લાગુ કરવાનો ટારગેટ સાકાર થઈ શકયો નથી. પરંતુ હવે ચાલુ વર્ષે ગમે તે ભાગે અમલી બનાવવાનો ઈરાદો છે.