તત્કાલ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા : માયાભાઇએ વિડીયો જારી કરીને કહ્યું ચિંતાની જરૂર નથી, હું એકદમ રેડી છું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર, લોકગાયક માયાભાઈ આહિરની ગઈકાલ તા.10ના સોમવારે કડી તાલુકાના ઝુલાસણ ગામે રાત્રે યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં અચાનક માયાભાઈ આહિરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્ષ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમચાર છે. માયાભાઈની તબિયતમાં સુધારો આવ્યો હોય તેવો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, ’જય સિયારામ આપડે એકદમ રેડી છીયે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી’. માયાભાઈ સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો કડી તાલુકાના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે.
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. જ્યાં માયાભાઈ આહીરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગુ છું. મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાથી નીકળી શકું, હું અહીંયાથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું, અહીંયા આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું, આઈ એમ વેરી વેરી સોરી, મને ક્ષમા કરજો.