ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે શ્રીનાથજી પાર્ક શેરી નંબર 5માં રહેતા પુષ્પાબેન અશોકભાઈ નાંઢા ઉં.83 તેમના પુત્ર અરવિંદ અશોકભાઈ નાંઢા ઉં.63ના બાઈક પાછળ બેસી એડીબી હોટલ પાછળ રહેતા તેમના નાના પુત્ર સંજયના ઘરે જમવા માટે જતા હતા ત્યારે રેલનગર હાઇવે પર કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા બંને જમીન પર પટકાયા હતા જેમાં બંનેને ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અહીં પુષ્પાબેનને જોઈ તપાસી ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે અરવિંદભાઈને ઈજા થઈ હોય તેમને સારવાર માટે દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પુષ્પાબેનને સંતાનમાં ત્રણ દીકરા છે અને એક દીકરી છે જ્યારે પુષ્પાબેનના પતિ અશોકભાઈ હયાત ન હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી છૂટેલા જી જે 03 સીઇ 4183 નંબરના કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.