રશિયા RIC પુનરુત્થાનને સમર્થન આપે છે, લવરોવ કહે છે કે ભારત-ચીન સંબંધોમાં સુધારો જોવા મળે છે
તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે નાટો ભારતને ચીન વિરોધી ષડયંત્રમાં ફસાવવાનો ખુલ્લેઆમ પ્રયાસ કરી રહ્યું છે.
- Advertisement -
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે ફરી એકવાર ભારત-ચીન સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. લાવરોવે રશિયા-ભારત-ચીન (RIC) માળખાને ફરીથી સક્રિય કરવામાં રસ દાખવ્યો હતો. તેમણે રશિયાના પર્મ શહેરમાં યુરેશિયા (યુરોપ અને એશિયા)માં સુરક્ષા અને સહયોગ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું કે, ‘ત્રણેય દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ.’
RICની રચના કોની પહેલ પર થઈ હતી?
સેરગેઈ લાવરોવે કહ્યું કે, ‘હું રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય પહેલના ફોર્મેટમાં શક્ય તેટલી વહેલી તકે કામ ફરી શરૂ કરવામાં મોસ્કોના રસની પુષ્ટિ કરવા માંગુ છું. અત્યાર સુધીમાં આ જૂથે માત્ર વિદેશ મંત્રીઓના સ્તરે જ નહીં, પરંતુ ત્રણેય દેશોની અન્ય આર્થિક, વેપાર અને નાણાકીય એજન્સીઓના વડાઓના સ્તરે પણ 20થી વધુ મંત્રી સ્તરની બેઠકો યોજી છે.’ નોંધનીય છે કે, RICની સ્થાપના ઘણા વર્ષો પહેલા પૂર્વ રશિયન પૂર્વ વડાપ્રધાન યેવજેની પ્રીમાકોવની પહેલ પર કરવામાં આવી હતી.
- Advertisement -
વિદેશ મંત્રી લવરોવે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘ભારત અને ચીન વચ્ચે સરહદ પર પરિસ્થિતિ કેવી રીતે હળવી કરવી તે અંગે સમજૂતી થઈ છે. તેથી RIC ને ફરીથી સક્રિય કરવાનો સમય આવી ગયો છે. નાટો ખુલ્લેઆમ ભારતને ચીન વિરોધી કાવતરામાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને કોઈ શંકા નથી કે ભારત આ સમજે છે અને તેને એક મોટી ઉશ્કેરણી તરીકે જુએ છે. હું તેમની સાથે ગુપ્ત વાતચીતના આધારે આ કહી રહ્યો છું.’
કઈ ઘટનાથી ભારત-ચીન સંબંધો વધુ ખરાબ થયા?
ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી RIC વાટાઘાટો બંધ થઈ ગઈ હતી. આ પછી ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓએ પરસ્પર સંબંધો સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત પછી સંબંધોમાં પરિવર્તન આવ્યું છે.