જિલ્લામાં સમાજ અને બાળ સુરક્ષા વિભાગ હેઠળ જરૂરિયાતમંદના સામાજિક ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના ન્યાય અધિકારીતા વિભાગ અન્વયે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મોરબીમાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોના સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી લોક હિતના પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જીલ્લાના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત વર્ષ 2022-23 દિવ્યાંગ રાહત અને રોજગારલક્ષી 182 સાધન સહાય મંજુર કરવામાં આવી છે. જીલ્લામાં કુલ પાંચ હજારથી વધુ દિવ્યાંગો મફત મુસાફરી પાસનો લાભ મેળવી રહ્યાં છે. 255 લાભાર્થીઓ સંત સુરદાસ યોજનાનો તો 293 લાભાર્થીઓ ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજનાથી લાભાન્વિત થઈ રહ્યા છે.
બૌદ્ધિક અસમર્થતા આર્થિક સહાય હેઠળ 50 લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે. 372 નિરામયા હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. દિવ્યાંગ શિષ્યવૃતિ હેઠળ 60 લોકોને 80 હજારથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે.
- Advertisement -
આ ઉપરાંત વર્ષ દરમિયાન દિવ્યાંગ લગ્ન સહાયમાં 23 લાભાર્થીઓને 11 લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે. મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ 15 બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજના (અનાથ), 378 બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજના (એકવાલી) તથા 306 બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના 6 બાળકો માટે, રાજ્ય સરકારની સ્પોન્સરશીપ યોજના 28 બાળકો માટે તથા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના 6 બાળકો માટે અને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના 31 બાળકો માટે છત્રછાયા બની છે. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ 3 બાળ સંભાળ સંસ્થા પણ જિલ્લામાં કાર્યરત છે જ્યાં કાળજી અને રક્ષણ વાળા બાળકોને આશ્રય આપી તેમની સારસંભાળ રાખવામાં આવે છે.