લાઈન લેન્ડસ્કેપમાં કુદરતી જળાશયો સૂકાઈ જતાં કૃત્રિમ પોઇન્ટનું વન વિભાગનું આયોજન
40 સસ્તન, 47 સરિસૃપ અને 338 પક્ષીઓની પ્રજાતિની તરસ બુઝાવશે વનતંત્ર
- Advertisement -
95% સોલાર તો 5% ટેન્કર દ્વારા પાણીના કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાની શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણનો આકરો મિજાજ વર્તાવા લાગ્યો છે. તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચતાની સાથે જ જનજીવન તો ઠીક, પણ ગીરના જંગલોમાં વસવાટ કરતા વન્યપ્રાણીઓ પણ અકળાઈ ઉઠ્યા છે. ગરમીની આ સીઝનમાં વન્યજીવોને પીવાના પાણીની મુશ્ર્કેલી ન પડે તે માટે વન વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે અને આયોજનબદ્ધ રીતે ખાસ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. દરેક ઉનાળાની ઋતુમાં સિંહ સહિતના વન્યજીવોની તરસ છિપાવવા માટે વન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિશાળ ’લાયન લેન્ડસ્કેપ્સ’માં 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પણ ગરમીની શરૂૂઆત થતાની સાથે જ વનતંત્ર દ્વારા આ તમામ પાણીના પોઇન્ટ્સને સક્રિય કરી દેવામાં આવ્યા છે. આ અભિયાનનો વ્યાપ માત્ર સાસણ ગીરના જંગલો પૂરતો મર્યાદિત નથી, પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરનું જંગલ માત્ર એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન નથી, પરંતુ તે અનેક પ્રકારના વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન છે. ગીરની બોર્ડર પર અને અંદરના વિસ્તારોમાં વસતા પ્રાણીઓમાં 40 પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ, 47 પ્રકારના સરીસૃપ (સરકીને ચાલનારા) અને 338 પ્રકારના પક્ષીઓની વિશાળ વસ્તીનો સમાવેશ થાય છે. સિંહ અને દીપડા જેવા મુખ્ય શિકારી પ્રાણીઓ ઉપરાંત અન્ય તમામ જીવો માટે આ પાણીના પોઇન્ટ્સ જીવનરેખા સમાન બની રહે છે. વન વિભાગે પાણીના પોઇન્ટ્સને કાર્યરત રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. કુલ 600થી વધુ પાણીના પોઇન્ટ્સમાંથી અંદાજે 95 ટકા પોઇન્ટ્સ સૌર ઊર્જા (સોલાર) અને પવનચક્કીની મદદથી ભરવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પદ્ધતિ છે. જ્યારે બાકીના 5 ટકા પાણીના પોઇન્ટ્સ માટે, જ્યાં વીજળી કે પવનચક્કીની સુવિધા પહોંચવી મુશ્ર્કેલ છે, ત્યાં ટેન્કર અને શ્રમિકોની મદદ લઈને નિયમિતપણે પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની માત્ર ઉપલબ્ધતા જ નહીં, પરંતુ પાણીની ગુણવત્તા પણ જળવાય રહે તે માટે વન વિભાગ વિશેષ કાળજી લે છે. આ પાણીના પોઇન્ટ્સની દરરોજ સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત, સમયાંતરે આ પોઇન્ટ્સ પર ચૂનાનો લેપ લગાવવામાં આવે છે, જેથી પાણીનું તાપમાન નિયંત્રિત રહે અને તે વધુ ગરમ ન થાય. આ વ્યવસ્થામાં માત્ર મોટા પ્રાણીઓનો જ વિચાર નથી કરાયો, પરંતુ નાના જીવો માટે પણ સંવેદનશીલતા દાખવવામાં આવી છે. દરેક પાણીના પોઇન્ટની નજીક એક નાનું ’માદંણુ’ (નાનો ખાડો) બનાવવામાં આવે છે. આ માદંણામાં પાણીના પોઇન્ટમાંથી વધારાનું પાણી વહીને આવે છે, જેથી પતંગિયા અને અન્ય નાના જીવજંતુઓ પણ સરળતાથી પાણી પી શકે અને તરસ છિપાવી શકે. આ અંગે સાસણગીરના ડીસીએફ અગ્નેશ્ર્વર વ્યાસે જણાવ્યું હતું કે, વન્યજીવો માટે ઊભી કરવામાં આવેલી આ તમામ કૃત્રિમ વ્યવસ્થાઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ ગરમીમાં તેમને પડતી હાલાકી દૂર કરવાનો છે. વનતંત્રના આ પ્રકારના સઘન અને આયોજનબદ્ધ પ્રયાસોને કારણે ઉનાળાના વિકટ દિવસોમાં પણ ગીરના જંગલોમાં વન્યજીવો સુરક્ષિત રહે છે અને તેમને પાણી માટે ભટકવું પડતું નથી. આ રીતે, ગીરના વન તંત્રની સજ્જતા અને આધુનિક આયોજનને લીધે કાળઝાળ ગરમીમાં પણ વન્ય જીવસૃષ્ટિ માટે જંગલ સુરક્ષિત બની રહે છે. 600થી વધુ પોઇન્ટ્સનું નેટવર્ક ગીરના પર્યાવરણને જીવંત રાખવા માટે એક કવચ તરીકે કામ કરી રહ્યું છે.



