સુપ્રીમે આપેલા ચુકાદા બાદ દેશભરમાં ગેરકાયદે ઘુસણખોરી સામે કાર્યવાહી શરૂ
સ્થાનિક સ્તરે બનાવટી ડોકયુમેન્ટ પણ બનાવી લીધા હતાં: ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહીની તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલમાં જ સર્વોચ્ચ અદાલતે નાગરિક કાનુનની કલમ 6-એ અંગે આપેલા ચુકાદા બાદ 31 માર્ચ 1970 પછી ભારતમાં આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓ ગેરકાનુની વસેલા નાગરિકો ગણાય તેવા અર્થઘટન બાદ હવે આગામી સમયમાં દેશભરમાં બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ થાય તેવા સંકેત છે અને તેમાં ગુજરાતમાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે એક મોટી કાર્યવાહીમાં 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.
આ તમામ અમદાવાદમાં ગેરકાનુની રીતે રહેતા હતા. અમદાવાદ ડીસીપી ક્રાઇમ અજીત રાજીયેને જણાવ્યું હતું કે ખોટા દસ્તાવેજો બનાવીને બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોવાની માહિતી બાદ આ કાર્યવાહી શરૂ કરી છે જેમાં ર00થી વધુ લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને તેમાં પ0 લોકો હાલ બનાવટી દસ્તાવેજોના આધારે ભારતમાં રહેતા હોવાની માહિતી મળી છે.
હવે તેમની પુછપરછ શરૂ કરાશે. સ્થાનિક સ્તરે તેઓએ આધાર, પાનકાર્ડ સહિતના ડોકયુમેન્ટો પણ તૈયાર કરી લીધા હતા અને આ ડોકયુમેન્ટ કોણે બનાવી આપ્યા તે પણ તપાસ કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ બાદ રાજયના અન્ય ભાગોમાં પણ ગેરકાનુની રીતે વસી ગયેલા બાંગ્લાદેશીઓને શોધી શોધીને તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
આસામ સહિતની સરહદોથી ઘુસેલા બાંગ્લાદેશીઓ દેશભરમાં ફેલાઇ ગયા છે અને કેટલાક તો બીજી-ત્રીજી પેઢી પણ ભારતના નાગરિક બની ગયા હોવાના સમાચાર છે. જોકે સુપ્રીમનો આ ચુકાદો હવે દેશમાં આ રીતે ઘુસેલા બાંગ્લાદેશીઓ સામે કામ લેવામાં મહત્વનો પુરવાર થશે.