સિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર સતત સંપર્કમાં, ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસીઓ સલામત
સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામ ખાતેના દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં હવે સિક્કીમમાં ફસાયેલ ગુજરાતી પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હરકતમાં આવ્યા છે.
- Advertisement -
વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.
રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી. જોકે ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે. લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે.
હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.




