જીએસટી કેન્સલ મામલે ઉત્તરપ્રદેશ મોખરે : અનેક કારણોથી જીએસટી રજિસ્ટ્રેશન થાય છે કેન્સલ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.31
ગેરમાન્ય બેંક એકાઉન્ટ, કાયદાનું યોગ્ય રીતે પાલન નહીં કરવું જેવા વિવિધ કારણોસર ગુજરાતમાંથી નવા નાણાકીય વર્ષમાં જૂન સુધીમાં જ 50,000થી વધુના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયાનું સામે આવ્યું છે.
- Advertisement -
વ્યવસાયને તાળા લાગવા, પ્રોપરાઈટરનું અવસાન થવું, રીટર્ન ભરવામાં નિષ્ફળતા, મર્જર થવું, બિઝનેસના બંધારણમાં ફેરફાર કરવો, છેતરપિંડી કરવા માટે રજીસ્ટ્રેશન મેળવવું, માહિતી છુપાવવી જેવા વિવિધ કારણોસર જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવતું હોય છે. આ પ્રકારના વિવિધ કારણો સાથે ગુજરાતમાં 2024-25માં જૂન સુધી કુલ 50,298 એકમ-વેપારીના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરાયા છે. નવા નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલથી જૂન સુધી સૌથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 93305 સાથે મોખરે છે, મહારાષ્ટ્ર 56919 સાથે બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25માં જૂન સુધી કુલ 3.38 લાખથી વધુના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયેલા છે. જે પણ રજીસ્ટ્રેન એકવાર કેન્સલ થયા બાદ ફરી રજીસ્ટ્રેશન અપાયુ હોય અને તે ફરી કેન્સલ થાય તો તેને એક જ હેઠળ ગણવામાં આવે છે. જે જીએસટીઆઈએન સસ્પેન્ડ થયેલા છે તેને આ હેઠળ ગણાયા નથી. જે જીએસટી રજીસ્ટ્રેશનને વિવિધ કારણોસર કેન્સલ કરાયા છે તેને ટેક્સ ઓફિસર દ્વારા ’મલ્ટિપલ રીઝન્સ’ એવું કારણ અપાયું છે.
ગુજરાતમાં કેન્સલ થયેલા જીએસટી રજીસ્ટ્રેશનની વાત કરીએ તો 2021-22માં 99,399, 2022-23માં 95,525, 2023-24માં 93,163, 2024-25માં 50,298 રજિસ્ટ્રેશન કેન્સલ થયા છે.