મહાનગરોમાં મોટાપાયે ગેરકાયદે અને સૂચિત સોસાયટીને હવે કાયદેસરની માન્યતા મળશે : મહેસુલ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ માટે ગાંધીનગરથી મોટી ખબર આવી છે. સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા. સૂચિત સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારા અમલી બનશે. આગામી 22 મેથી રાજ્યભરમાં આ સુધારો અમલી બનશે. ગુજરાતમાં અનેક સોસાયટીઓ એવી છે, જે સૂચિત સોસાયટી ગણાય છે. જેને સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી. આ સોસાયટીઓ બની તો ગઈ છે, પણ તેની એનએની મંજૂરી લેવાઈ ન હોય, અથવા મળી ન હોય તેને સૂચિત સોસાયટી ગણાય છે. રાજ્યભરમાં આવી 23 હજારથી વધુ મિલકતો છે. સૂચિત સોસાયટીના કાયદામાં કરાયેલો સુધારો વિધાનસભામાં રજૂ કરાયો હતો. પરંતું તેને રાજ્યપાલની મંજૂરી મળતા નોટિફિકેશન ગઈકાલે જાહેર કરાયું છે. આ મંજૂરીથી નાગરિકોની 23 હજારથી વધુ મિલકતોને લાભ મળશે. જેથી હવેથી તેમની મિલકતોને કાયદેસરની માન્યતા મળશે. સૂચિત સોસાયટીના કાયદામાં સુધારો થતા હવે શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને લાભ મળશે. રાજ્યભરમાં અંદાજે 23 હજાર મિલકતોને તેનો સીધો લાભ મળશે. આ મિલકતોને કાયદેસરની માન્યતા મળશે. ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં સૂચિત સોસાયટીઓનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર દરમિયાન મહેસુલ વિભાગ દ્વારા સુધારો રજૂ થયો હતો. મહેસુલ વિભાગે અમલવારી અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.
નવા સુધારાથી શું ફાયદો થશે
શહેરોમાં પછાત ગણાતા વિસ્તારોમાં આવેલી અનેક સૂચિત સોસાયટીઓમાં રહેતા નાગરિકોને દસ્તાવેજ થકી માલિકી હક મળ્યો નથી તેમને દસ્તાવેજ દ્વારા માલિકી હક આપવા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. જેના કારણે વર્ષોથી પોતાનું રહેઠાણ હોવા છતાં તેમના નામે મકાન નહીં કરાવી શકેલા રહીશોને લાભ મળશે.
આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાંકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે. તે સાથે પછાત વિસ્તારો શહેરના મુખ્ય પ્રવાહ સાથે સંકળાઈ શકશે.