હપ્તાની લહેણી રકમ ભરવા પર મળે છે 100 ટકા પેનલ્ટી માફ: લાભ લેવા અરજદારોનો ધસારો
10મી ઑક્ટોબર સુધી યોજનાનો લાભ લઈ શકાય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમમાં એમ.આઈ.જી.માં મકાન લીધા પછી, રશ્મિન કુનડીયા (જુનાગઢ), આર્થિક સંકડામણના લીધે હપ્તા નહોતા ભરી શક્યા. જેના કારણે બાકી હપ્તાઓ પર વ્યાજ સાથે પેનલ્ટીઓ ચડી ગઈ હતી. આ રકમ વધીને રૂપિયા 17,31,914 સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી ‘પ્રોત્સાહક વળતર યોજના’ની જાણકારી મળી. તેમણે યોજનાનો લાભ લીધો અને હપ્તાના રૂપિયા 4,47,660 ભરી દીધા. જેના કારણે અધધ.. કહી શકાય તેવી રૂપિયા 17 લાખથી વધુની રકમની પેનલ્ટી માફ થઈ છે. હવે તેઓ નિશ્ર્ચિત છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ-રાજકોટના એસ્ટેટ મેનેજરશ્રી એ.જે. કનેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડની રાજકોટ જાગીરમાં 150 જેટલી કોલોનીઓ આવેલી છે. જેમાં રશ્મિનભાઈ જેવા 215થી વધુ રહેવાસીઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ 215 અરજદારોએ પોતાના ઘરના હપ્તા પેટેની લહેણી રકમ રૂપિયા 107.62 લાખ ભરપાઈ કરી દીધા છે. જેની સામે તેમની 389.37 લાખ રૂપિયાની પેનલ્ટી 100 ટકા માફ કરવામાં આવી છે. આમ સરકારની પ્રોત્સાહક વળતર યોજનાના કારણે હાઉસિંગ બોર્ડના લાખો રહેવાસીઓને લાખો રૂપિયાનો ફાયદો થયો છે, સાથે ઘર પણ પોતાના નામે થઈ શક્યું છે.
મોરબીના રાજેન્દ્રભાઈ રાઠોડને પણ પ્રોત્સાહક વળતર યોજનામાં 16 લાખથી વધુ રૂપિયાનો ફાયદો થયો છે. તેમણે પણ મકાનના હપ્તા પેટેની લહેણી રકમના રૂપિયા 8,02,280 રૂપિયા ભરી દીધા, જેના કારણે તેમની રૂપિયા 16,70,175 રૂપિયાની પેનલ્ટી માફ થઈ છે.