મહારાષ્ટ્રની ચૂંટણીમાં શેરડીની ખેતી નડશે
15 નવેમ્બરથી શરૂ થઈ લણણીની સિઝન
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ
- Advertisement -
દેશનું ટોચનું ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યના તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરાઈ રહી છે. જ્યારે બીજી તરફ શેરડીના પાકની લણણીની સિઝન હોવાથી અંદાજે 12 લાખથી વધુ ખેત મજૂરો મતદાનથી વંચિત રહેશે. મરાઠાવાડા, ઉત્તર મહારાષ્ટ્ર, અને વિદર્ભમાંથી આવતાં 12 લાખથી વધુ શેરડીના ખેડૂતો પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત શેરડીનો પાક કરતાં અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. જેથી તેઓ પરત પાછા પોતાના ગામ જઈ મતદાન કરે તેવી કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી.
મહારાષ્ટ્ર શુગરકેન કટર્સ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યા અનુસાર, શેરડીના પાકની લણણી 15 નવેમ્બરથી શરૂ થઈ જાય છે. જેમાં વિવિધ જિલ્લાઓમાંથી 15 લાખથી વધુ ખેત મજૂરો પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે.
એસોસિએશને ઔરંગાબાદ હાઈકોર્ટ બેન્ચને આ મામલે દખલગીરી કરવા તેમજ ચૂંટણી પંચને મતદારોના આ વિશાળ સમૂહ તેમનો અધિકાર ન ચૂકે તેની ખાતરી કરવા માગ કરી છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિયનસુગર મિલ્સ એસોસિએશને જણાવ્યું હતું કે, તેમણે 20 નવેમ્બરે મતદાન કરવા માટે આ મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે.
- Advertisement -
મહારાષ્ટ્ર સુગરકેન કટર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ જીવણ રાઠોડે ઔરંગાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે, મરાઠાવાડા, ઉત્તર મહારાષ્ટ્ર, અને વિદર્ભમાંથી 12થી 15 લાખ મજૂરો શેરડીની લણણી કરવા પશ્ચિમ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, અને તમિલનાડુમાં સ્થળાંતર કરે છે. હાલ લણણીની સિઝનમાં તેઓ સ્થળાંતર કરી ચૂક્યા છે. તેઓ હવે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ઘરે પરત ફરશે. જેથી તેમના મતદાનનો હક પૂરો પાડવા ચૂંટણી પંચને યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરે છે.
આટલી મોટી સંખ્યામાં મતદારોની ગેરહાજરી લોકશાહીનો ભંગ કરી શકે છે. તેઓ તેમનો નેતા પસંદ કરવાનો હક ગુમાવશે. મહારાષ્ટ્રમાં કોઈ એક પક્ષ બહુમતી ધરાવતો નથી, તેમાં લાખોની સંખ્યામાં ખેત મજૂરોનું સ્થળાંતર ચૂંટણી પર અસર કરશે. જેથી આ ખેત મજૂરોને મતદાનના દિવસે પોતાના વતન પરત લાવી મતદાન કરાવવા યોગ્ય પરિવહનની વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી છે. વધુમાં રાજ્યના શુગર કમિશનરને મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ શુગર ફેકટરી ફેડરેશન લિમિટેડ, વેસ્ટ ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન, અને તમામ શુગર મિલ્સને ચૂંટણીના દિવસે જાહેર રજા આપવા નિર્દેશ કર્યો છે.