ટંકારા-માળીયાને મળશે નવા મહેસૂલી ભવન: અગરિયાઓ માટે આવાસ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે, જેમાં મોરબી જિલ્લાને અનેક મહત્વની ભેટ મળી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે મોરબીની શાન ગણાતી એલ.ઈ. એન્જિનિયરિંગ કોલેજને ઓટોનોમસ (સ્વાયત્ત) સંસ્થાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ છે. કોલેજમાં નવી લેબોરેટરીઝ, આધુનિક કોર્સ અને માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન માટે ₹35 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં વહીવટી સરળતા વધારવા માટે ટંકારા અને માળીયા તાલુકામાં નવા મહેસૂલી ભવનોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ માટે બજેટમાં ₹240 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી કામકાજમાં મોટી સુવિધા મળશે.
દરિયાકાંઠાના અને રણ વિસ્તારના અગરિયાઓની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર કરતા, તેમને યુનિક નંબર સાથેના આવાસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. હળવદ અને માળીયા પંથકના અગરિયાઓને આ યોજનાનો સીધો લાભ મળશે. વધુમાં, શહેરી વિસ્તારોમાં ફ્લાય ઓવર નીચે થતા ગેરકાયદે દબાણો અટકાવવા ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ડેવલપ કરવાનો નવતર અભિગમ અપનાવાયો છે, જે અંતર્ગત મોરબીને પણ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળશે.



