ખાસ-ખબર સંવાદદાતા
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના મામલે પોલીસે આરોપીઓને ઝડપી લઈને રિમાન્ડ મેળવી તપાસ ચલાવી હતી જ્યારે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા ઓરેવા કંપનીના બે મેનેજરના ફર્ધર રિમાન્ડ માંગતા કોર્ટે રીમાન્ડની માંગણી ફગાવી દીધી હતી જેથી રીવીઝન અરજી કરવામાં આવી હતી, જેની ગઈકાલે સુનાવણી થવાની હતી જોકે તેમાં વધુ એક મુદત પડી છે અને હવે આવતીકાલે તા. 11 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
મોરબીનો ઝૂલતો પુલ ગત તા. 30 ઓક્ટોબરના રોજ સાંજે તૂટી જતા 135 લોકોના મૃત્યુ થયા હતા જે કેસમાં નવ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને ઓરેવા કંપનીના 2 મેનેજર અને 2 કોન્ટ્રાકટરના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂર્ણ થયા બાદ ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને દિનેશ દવેના વધુ પાંચ દીવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં તપાસ અધિકારીએ દલીલો કરી હતી કે બંને મેનેજરને રાજકોટ અને મોરબી કલેક્ટર કચેરી તથા મોરબી નગરપાલિકામાં ક્રોસ તપાસ માટે વધુ રિમાન્ડની જરૂર છે જોકે કોર્ટે ફર્ધર રિમાન્ડની માંગ ફગાવી દીધી હતી જેથી તપાસ અધિકારી દ્વારા આરોપી મેનેજરોના ફર્ધર રિમાન્ડ માટે ઉપલી કોર્ટમાં રીવીઝન અરજી કરવામાં આવી હતી જેની ગઈકાલે તા. 09 ના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી હતી જેમાં મુદત પડી છે અને હવે આવતીકાલે તા. 11 ના રોજ સુનાવણી કરવામાં આવશે.