ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાનાર પી.એમ.જે.વાય. યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ અંતર્ગત મોરબી તાલુકાનો કાર્યક્રમ શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન જનની આરોગ્યની સુવિધા માટે સરકારે સતત ચિંતા કરી છે તેનું સર્વોત્તમ ઉદાહરણ છે આયુષ્યમાન કાર્ડ તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગરીબો અને જરૂરિયાત મંદ લોકોની સારવાર માટે અનેક સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રો ઉભા કર્યા છે. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ થકી ખાનગી દવાખાનામાં પણ લોકો વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. આરોગ્ય વિભાગ સહિત તમામ ક્ષેત્રે ડબલ એન્જિન સરકાર દ્વારા વણથંભી વિકાસ યાત્રા અવિરત શરૂ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન કાર્ડ યોજના શરૂ થયા બાદ આજ સુધીમાં મોરબી જીલ્લામાં 2,34,334 કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે જે અનવ્યે 147.37 કરોડની કેસલેસ સારવાર આપવામાં આવી હોવાનો જીલ્લા પંચાયત વિભાગના આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,જીલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા સહિત જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ લાભાર્થીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં આજ સુધીમાં 23 લાખ આયુષ્યમાન કાર્ડ થકી 147 કરોડની કેશલેસ સારવાર આપ્યાનો દાવો
