સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું. 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 21 બેઠકો થશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય અને અન્ય કામકાજ હાથ ધરવા માટે ઓળખવામાં આવ્યા છે.
ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેને 22 મિનીટમાં ઠાર કર્યા: પીએમ મોદી
- Advertisement -
આજે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું, પરંતુ સત્ર શરૂ થતાં જ ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ લોકસભામાં હોબાળો કરી રહ્યું છે, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘તમે જે મુદ્દા પર ચર્ચા કરવા માંગો છો તે પ્રશ્નકાળ પછી થશે. ચર્ચા નિયમો મુજબ કરવામાં આવશે.’
કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થશે અને હવે 19 ઓગસ્ટ સુધી ચાલશે. અગાઉ ચોમાસું સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ બહાર પત્રકારોને સંબોધ્યા હતા. જેમાં તેમણે ક્યું કે વરસાદ દરેક પરિવારના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં દેશને તેનાથી લાભ થશે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દુનિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યનું સામર્થ્ય જોયું.
ઓપરેશન સિંદૂર બાબતે પીએમ મોદીએ કહ્યું કે…
- Advertisement -
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેને 22 મિનીટમાં ઠાર કર્યા. અમે 100% લક્ષ્ય હાંસલ કર્યું. ભારતની લશ્કરી શક્તિએ બતાવ્યું છે કે તે કેટલી ઝડપથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં બનેલી લશ્કરી શક્તિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.’
વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે
તેમજ આ વખતે સત્રમાં ખૂબ હોબાળો થવાની શક્યતાઓ પણ છે. વિપક્ષે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર ના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર, વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે.
સરકાર યોગ્ય જવાબ આપશે: કિરેન રિજિજુ
ઈન્ડિયા અલાયન્સે આગ્રહ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ આ બાબતે તેમજ પાકિસ્તાન સાથેના અમેરિકન રાષ્ટ્રપતિના યુદ્ધવિરામના દાવાઓ અને બિહાર (SIR) પર જવાબ આપવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં આ મુદ્દાઓ પર વડા પ્રધાન પોતે જવાબ આપે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જોકે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની ચર્ચા કરવામાં આવશે, ત્યારે સરકાર યોગ્ય જવાબ આપશે.
મોનસૂન સત્રમાં કેન્દ્ર સરકાર લોકસભામાં આ બિલો રજૂ કરે અને પસાર કરે તેવી અપેક્ષા છે
– મણિપુર GST (સુધારા) બિલ, 2025
– જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2025
– ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, 2025
– કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025
– ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, 2025
– ખાણ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025
– રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025
– રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025
આ બિલ લોકસભામાં પસાર થવાની અપેક્ષા છે
– ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2024
– વેપારી શિપિંગ બિલ, 2024
– ભારતીય બંદરો બિલ, 2025
– આવક વેરા બિલ, 2025.