સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ત્રિવેદી પાસેથી ચાર્જ છીનવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલના અવારનવાર સામે આવતા વિવાદો બાદ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ છીનવી લેવાયો છે. તેમની જગ્યાએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના અધિક ડીનના ડો.મોનાલી માકડીયાને નવા સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા છે. સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદ, આંતરિક ખટપટ, ઉપરાંત ડો.ત્રિવેદીની રીતિ નીતિ સામે અનેક વખત સવાલો ઉઠ્યા હતા. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડો. મોનાલીની આ નિમણૂક બાદ સિવિલ હોસ્પિટલના વિવાદો ઘટશે કે નહીં? તેની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા ઉપ સચિવ વી. એમ. પટેલે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, તબીબી અધિક્ષક પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનો તારીખ 3જી એપ્રિલ 2021થી વધારાનો હવાલો ધરાવતા ડો.રાધેશ્યામ ત્રિવેદી ફીજીયોલોજીના પ્રાધ્યાપકને તબીબી અધિક્ષકના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે. તેમજ બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો.મોનાલી માકડીયાને તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ, રાજકોટનો વધારાનો ચાર્જ તેમની મૂળ ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.વધુમાં ડો.મોનાલી માકડીયા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ. રાજકોટના અધિક ડીનના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, તાજેતરમાં કેબિનેટ મંત્રીના સગાને સરખી સારવાર ન આપતા મોત થયાનો આક્ષેપ હતો અને તેના પડઘા ગાંધીનગર પહોંચ્યા હતા. ઉપરાંત હોસ્પિટલમાં અનેક પ્રશ્નો હાલમાં જ કલેકટર કચેરીમાં મળેલી બેઠકમાં ચર્ચાયા હતા. જેમાં સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓની હાજરીમાં સિવિલ હોસ્પિટલમાં ચાલતા તંત્રની આકરી ટીકા થઈ હતી. જેને લઈને આ પગલું લેવામાં આવ્યું છે.



