ભારત પાકિસ્તાનના પ્રચારનો સામનો કરવા માટે સાંસદોને વિદેશ મોકલશે, થરૂર અમેરિકાની મુલાકાત લેશે
આતંકવાદ સામે ભારતની લડાઈ ચાલુ છે. ઓપરેશન સિંદૂર પછી , ભારતનું સાત પક્ષનું પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાનું આયોજન કરે છે. આ સાત પ્રતિનિધિમંડળો આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. આમાં વિવિધ પક્ષોના સંસદ સભ્યોનો સમાવેશ થાય છે.
સંસદીય બાબતોના મંત્રાલયે વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા સાંસદોના નામ જાહેર કર્યા છે. મોદી સરકારે આ મામલે કોંગ્રેસ નેતા શશિ થરૂરને મોટી જવાબદારી સોંપી છે. આ સાથે, થરૂર હવે અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનનો પર્દાફાશ કરશે.
સાત પક્ષોના પ્રતિનિધિમંડળમાં સાંસદોના નામ જાહેર
સાત પક્ષોના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના શશિ થરૂર, BJPના રવિશંકર પ્રસાદ, JDUના સંજય કુમાર ઝા, BJP તરફથી બૈજયંત પાંડા, DMK ના કનિમોઝી કરુણાનિધિ, NCPના સુપ્રિયા સુલે અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદેનો સમાવેશ થાય છે . ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરશે અને જણાવશે કે પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો છે અને ભારત પાસે આના નક્કર પુરાવા છે.
વિશ્વ સમક્ષ ભારતનો દૃઢ સંદેશ
આ પ્રતિનિધિમંડળોનો મુખ્ય હેતુ વિશ્વના રાજકીય નેતાઓ, થિંક ટેન્કો અને મીડિયા સમક્ષ એ મુદ્દો રજૂ કરવાનો રહેશે કે પાકિસ્તાનમાં પોષાતા આતંકવાદી તત્ત્વોએ ભારતના નાગરિકો પર કેવી રીતે હુમલો કર્યો. ભારતે કેવી રીતે સંયમ સાથે પરંતુ દૃઢતાથી જવાબ આપ્યો. વિશેષ તો એ છે કે ઓપરેશન સિંદૂર જેવા નક્કર પગલાને માત્ર સરકાર નહીં, પણ આખા રાજકીય તંત્રનો ટેકો મળી રહ્યો છે. એક મતથી દુનિયાને કહેવામાં આવશે કે ભારતની આતંકવાદ વિરુદ્ધની લડત માત્ર રાજકીય નિર્ણય નહીં, પણ રાષ્ટ્રહિતમાં ભરેલો નિર્ણય છે.
8 દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે
ભારતની આ રાજકીય એકતા આખી દુનિયામાં દેખાશે. સૂત્રો અનુસાર, સરકારે નિર્ણય લીધો છે કે ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 8 અલગ અલગ દેશોમાં મોકલવામાં આવશે. આ પ્રયાસ સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે, જેણે વિદેશ મંત્રાલયના સહયોગથી યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પ્રથમ તબક્કામાં, 8 જૂથો બનાવવામાં આવ્યા છે, જેમાંથી દરેક એક અલગ દેશની મુલાકાત લેશે. આ જૂથોમાં તમામ પક્ષોના સાંસદોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેથી એ સ્પષ્ટ થાય કે આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સરકારની નથી પરંતુ સમગ્ર દેશની છે.
પ્રતિનિધિમંડળ ક્યારે જશે?
22 મે પછી, સાંસદોનું પ્રતિનિધિમંડળ વિદેશ પ્રવાસ પર જવાનું શરૂ કરશે. સૂત્રો અનુસાર, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં લગભગ 43/45 સાંસદોના નામ સામેલ કરવામાં આવશે. દરેક પ્રતિનિધિમંડળમાં લગભગ અડધો ડઝન સાંસદો હશે અને તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ તેમાં નેતૃત્વની ભૂમિકા ભજવશે. આ સાંસદોનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય મંચો પર એ સ્પષ્ટ કરવાનો રહેશે કે પાકિસ્તાનમાં પોષાયેલા આતંકવાદી માળખાઓએ ભારતની સાર્વભૌમત્વ પર કેવી રીતે હુમલો કર્યો છે અને તેના જવાબમાં ભારતે કેવી રીતે સંયમ અને દૃઢતાથી પ્રતિક્રિયા આપી છે.
શશિ થરૂર કરશે પાકિસ્તાનનો પર્દાફાશ
શશિ થરૂર ભારતના પ્રથમ લશ્કરી પ્રતિસાદ “ઓપરેશન સિંદૂર” બાદ આખો દેશ આતંકવાદ વિરુદ્ધ એક મંચ પર જોવા મળ્યો છે. સરકારના આ પગલાને વિશ્વપટલ પર યોગ્ય રીતે રજૂ કરવા માટે, મોદી સરકારે વિવિધ દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરને અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.