મા શક્તિની સામુહિક આરાધના-ઉપાસના થકી સમાજ સંગઠીત થાય છે, રાષ્ટ્રીય એકતા મજબૂત થાય છે: ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધારાસભ્ય ઉદય કાનગડે આજથી પ્રારંભ થયેલ મા આદ્યશક્તિના પાવન એવા નવરાત્રિ પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડે જણાવ્યું કે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે. આ દૈવી શક્તિને જગદંબા, દુર્ગા, અંબા, અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીના ભક્તો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે અને નવ દિવસ ઉપવાસ કરે છે, શક્તિની આરાધના કરે છે. સર્વત્ર અનોખો ભક્તિભાવ જોવા મળે. ઘટસ્થાપન, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, ધુપ-દીવા- બતીની સુગંધ, પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ દ્વારા ગરબાના તાલે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવે છે.
- Advertisement -
આપણી સંસ્કૃતિમાં નવરાત્રિ પર્વનું એક વિશેષ મહાત્મ્ય છે. નવરાત્રિ દરમિયાન ઈશ્ર્વર પ્રત્યેની ભક્તિ અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. જનસમુદાયમાં એક નવો જ ભક્તિસભર ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. મા શક્તિની સામુહિક આરાધના-ઉપાસના થકી સમાજ સંગઠીત થાય છે, રાષ્ટ્રીય એકતા મજબૂત થાય છે ત્યારે નવરાત્રીમાં કરેલ ઉપવાસ અને શક્તિની આરાધનાથી માનવમાત્રમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થાય છે. નવરાત્રિ અને ત્યારબાદ વિજ્યાદશમીના તહેવારની સાથે આસો મહીનાની શરદઋતુની પરાકાષ્ઠા એટલે શરદપૂર્ણિમાના ચંદ્રની શીતળતા અનુભવાય છે ત્યારે નવરાત્રિ પર્વ દરમિયાન મા શક્તિની આરાધનામાં લીન થઈ છળ, કપટ, ઈર્ષાનો ત્યાગ કરી માનવ કલ્યાણના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ અને મા અંબાના આશીર્વાદ સૃષ્ટિ ઉપર સતત વરસતા રહે તેમ અંતમાં શહેરીજનોને મા આદ્યશક્તિના પાવન એવા નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું.