ગામડામાં તમામ સરકારી બિલ્ડિંગ અને તેના પરિસરમાં વૃક્ષારોપણ અને ઉછેરની વ્યવસ્થા માટે આયોજન હાથ ધરાયું.
રાજકોટ ખાતે “દિશા” ની બેઠકમાં સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાકીય કામોની સમીક્ષા કરાઇ.
- Advertisement -
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની અમલવારી અને પૂર્ણ અને પ્રગતિમાં હોય એવા કામોની સમીક્ષા કરી રાજ્ય સરકારના સંકલનથી ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે અને વિવિધ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ ઓફિસર અને જિલ્લાના અધિકારીઓને સુચના આપી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.
ગ્રામીણ કક્ષાએ શ્રમિકોને રોજગારી આપતી યોજના મનરેગામાં સરકારશ્રી દ્વારા પૂરતું ફંડ ફાળવવામાં આવે છે. મનરેગા હેઠળ ગયા વર્ષે રૂ. ૧૬૦૦ કરોડના કામો કરવામાં આવ્યા હતા અને આ વર્ષે ગત વખત કરતા વધારે કામો વિવિધ મુખ્ય ડિપાર્ટમેન્ટને સાથે રાખીને ગ્રામીણ કક્ષાએ થાય તે માટે આયોજન હાથ ધરવા માટે રૂપરેખા ઘડવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિકાસનું ફલક વધારવાની યોજનાકીય રૂપરેખા આપતા કલેકટર રેમ્યા મોહને મનરેગાની સાથે અન્ય ગ્રાન્ટને પણ જોડીને સરકારશ્રીના નિયમો મુજબ લેબર વર્ક જાળવી રાખીને નવા કામોની રૂપરેખાની સાથે સબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને જે તે પ્રોજેકટમાં બાકી કામગીરી પુર્ણ કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે મનરેગાના કામો એટલે માત્ર રાહતના કામો એવી માનસિકતા છે તેમાં બદલાવ આવવા માટે જિલ્લા પંચાયત કક્ષાએથી જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંકલન હેઠળ મનરેગામાં જનહિતના અન્ય ૪૦ થી વધુ કામો કરી શકાય તેના નામો આપીને દરેક વિભાગના અધિકારીઓને ગ્રામ્ય કક્ષાએ સરકારી મકાનોના વિવિધ કામો અને પંચાયત કક્ષાએ કરવાના થતા કામો, જળ સંરક્ષણ વિગેરે હાથ પર લેવા જણાવવામાં આવ્યું હતું.