વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ફેલાઈ ખુશીની લાગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે,હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી તેમજ આજથી આદ્રા નક્ષત્રની શરૂઆત પણ થઈ છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું છે જેમને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વિરપુર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતુ, સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે દિવસ દરમિયાન વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે તો જે ખેડૂતોએ આગોતરા પાકનું વાવેતર કર્યું હોય તેમના માટે પણ આ વરસાદ કાચા સોના માફક છે,યાત્રાધામ વીરપુર સહિત ગ્રામ્ય પંથકના થોરાળા, કાગવડ, જેપુર, હરિપુર, મેવાસા સહિત વિસ્તારોમાં મેઘરાજા ધીમીધારે વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ ફેલાઈ છે જેમને લઈને ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ વરસે અને ખેડૂતોએ વાવેતર કરેલા પાકનું ઉત્પાદન સારું થાય તેવી કુદરત પાસે આશા વ્યક્ત કરી હતી.



