ધાર્મિક લાગણી દુભાતા મેકડોનાલ્ડ્સના લાયઝનિંગ ઑફિસરે માફી માગી : ગ્રાહક ક્ધઝ્યુમર કોર્ટમાં જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે ચિકન વાળું નોનવેજ બર્ગર આપી દેવાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં વૈષ્ણવ ગ્રાહકનાં પરિવારના એક વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી, જેને પગલે ગ્રાહકે ક્ધઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે. જોકે, બીજીતરફ આ અંગે મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસરે ગ્રાહકની સાથે લોકોની પણ માફી માગી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગત રવિવારે (23 ફેબ્રુઆરી) કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મગાવ્યા હતા.
જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પાર્સલમાંથી નીકળ્યા હતાં. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ લીધું હતું. મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારના એક સભ્યનો ધર્મ ભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ હતી. જેને લઈને ભોગ બનનાર ગ્રાહક દ્વારા ક્ધઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ફરિયાદીનાં વકીલ અજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ખરેખર મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી છે. આ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા મેકડોનાલ્ડ્સ જઈને ત્યાંના અધિકારીઓને પણ આ અંગેની જાણ કરતા જ તેમના દ્વારા માફી માંગવામાં આવી હતી. ગ્રાહકોના ધસારાને કારણે આવી ભૂલ થઈ હોવાનું પણ સ્વીકાર્યું હતું. જોકે, મારા ગ્રાહક દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જેને લઈને આ અંગે મારા દ્વારા ક્ધઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભોગ બનનાર ગ્રાહક કેવલ વિરાણીએ જણાવ્યું હતું કે, રવિવારે અમે 6 વેજ બર્ગરનો ઓર્ડર રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં કર્યો હતો. જેમાં વેજ બર્ગરનાં બદલે 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પણ પાર્સલમાંથી નીકળ્યા હતા. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના એક વ્યક્તિએ ખાઈ લેતા ધાર્મિક લાગણી દુભાઈ છે. અમારો પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે અને ચુસ્ત રીતે ધર્મનું પાલન કરે છે. જોકે, મેકડોનાલ્ડ્સની બેદરકારીથી અમારા પરિવારના એક વ્યક્તિનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાનું લાગી રહ્યું છે.
- Advertisement -
સ્ટાફની બેદરકારીથી ભૂલ થઈ: મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઑફિસર
મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસર બિપીન પોપટે આ અંગે જણાવ્યું હતું કે, સ્ટાફના કોઈ વ્યક્તિની બેદરકારી હોવાથી આ ભૂલ થઈ છે. કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીને દુભાવવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમારી બ્રાન્ડ ઇન્ટરનેશનલ છે, જેમાં વેજ અને નોનવેજ કિચન હંમેશા અલગ રાખવામાં આવે છે. તેમજ નિયમ મુજબ વેજ અને નોનવેજ વસ્તુઓ પર સિમ્બોલ પણ લગાવી દેવામાં આવતું હોય છે. આમ છતાં જે ભૂલ થઈ છે તે માટે તપાસ કમિટી રચવામાં આવી છે. જે કોઈની ભૂલ હશે તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેવાની તૈયારી તેમણે દર્શાવી છે. તેમજ આ ભૂલ સામે પોતાનું ધ્યાન દોરવા બદલ ગ્રાહકનો આભાર માની તેની માફી માંગી હતી.