પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગાંધી સ્મૃતિ ભવનથી હાર્મની ફૂવારા સુધી ‘તિરંગા યાત્રા’ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકાર દ્વારા પણ તા. 8 થી 15 ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદર જિલ્લાવાસીઓ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, ત્યારે પોરબંદરમાં આજે સવારે 9 કલાકે ગાંધી સ્મૃતિ ભવનથી હાર્મની ફૂવારા સુધી ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ઘરે-ઘરે તથા દુકાનો-ઓફિસ સહિતના સ્થળો પર તિરંગો લહેરાવવા માટે જાગૃતિ આપવામાં આવી હતી. પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ માતાજીના મંદિર ખાતે આજે મંગળવારે તા. 13 ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે ‘તિરંગા યાત્રા’નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
- Advertisement -
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, પ્રદીપભાઈ ખીમાણી, કિરીટભાઈ મોઢવાડિયા અશોકભાઈ મોઢા સહિતના મહાનુભાવોએ આ તિરંગા યાત્રા પરેડનો પ્રારંભ કરાવ્યો હતો.