ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા 12 કલાકથી વધુ સમય હેરાન થયા : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આવ્યા વિદ્યાર્થીઓના વ્હારે
વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ પ્રશ્ર્ને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મદદ માટે વિનંતી કરતા તેઓએ રેલવેમંત્રી, મંત્રાલય સુધી કરી રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની મારવાડી યુનિવર્સિટીના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે કેરળ ગયેલા હતા અને તેઓ કોચીથી રાજકોટ તરફ પરત આવતી ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા મહારાષ્ટ્રના પનવેલ નજીકના સ્ટેશન પર ગઈકાલ સવારના 7 વાગ્યાની અટકેલી હતી અને તેમા રહેલ વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા હેરાન થઈ રહ્યા હતા.
12 કલાકથી વધુ સમય વિત્યા બાદ કોઇ જવાબદાર વ્યક્તિ ટ્રેન ક્યારે ઊપડશે તે બાબતે જવાબ આપી રહ્યા નોહતા .વિદ્યાર્થીઓએ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતિસિંહ રાજપૂતને આ બાબતે મદદ માગી કે અમને સ્વખર્ચે ખાનગી બસમાં પણ જવા નથી દેતા.જો કે ત્યાં ભારી વરસાદ પણ ચાલુ હોવાથી તેઓના વાલીઓ પણ ચિંતામાં મૂકાયા હતા.વિદ્યાર્થીનેતાએ આ ગંભીર બાબતની ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલજીને વાકેફ કરી વિદ્યાર્થીઓને મદદની વિનંતી કરી હતી. શક્તિસિંહે સંબંધિત સેંટ્રલ રેલવેના અધિકારી જોડે તાકીદે વાત કરીને કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું અને તત્કાલ નિરાકરણ માટે રજૂઆત કરી. જો કે સાંસદે ટ્વીટ કરી સમગ્ર બાબત રાજ્ય સરકારના પણ ધ્યાને દોરતા મીડિયામાં આ મુદો ચર્ચાસ્પદ બન્યો હતો.
જો કે આ બાબત રેલવે તંત્રના ધ્યાને મૂક્યાના એક કલાક બાદ ત્યાં હાજર રહેલ વિદ્યાર્થીઓનો ફોન આવ્યો કે અમારી ટ્રેન મુંબઈ તરફ નીકળી ચૂકી છે અને આગળના રેલવે સ્ટેશન પરના અધિકારીઓ ખાસ અમારા સૌ વિદ્યાર્થીઓ માટે ફૂડ પેકેટ લઇને કોચ સુધી પહોચ્યા હતા અને કોઈ પણ સમસ્યા હોય તે જણાવવા કહ્યું હતું. વધુમાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે મુંબઈ રેલવે સ્ટેશન પર પહોચ્યા બાદ પણ રેલવેના ટોચના અધિકારીઓ અમારા કોચ સુધી આવ્યા હતા તમામ વિદ્યાથીઓને જમવા આગ્રહ કર્યો હતો અને અમારા હાલચાલ પૂછ્યાં હતા.
ટ્રેનમાં મુસાફરી કરનાર હેત પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે 12 કલાકથી વધુ સમય ખુબ જ હેરાનગત થયા હતા અને પરિવારજનો પણ ચિંતા કરતા હતા પણ રાજ્યસભા સાંસદને આ વાત ધ્યાને આવ્યા બાદ કલાકમાં જ અમારી ટ્રેનની જે તે ખામી ફટાફટ દૂર કરી આગળ ચાલી હતી અને બાદમાં પણ તમામ વિદ્યાર્થીઓની રેલવે વિભાગે ખાસ કાળજી પણ રાખી હતી. તમામ વિદ્યાર્થીઓએ સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો હતો.