મામલતદારના આદેશને લઈને સ્વ. વાઘજી બોડાના ચાહકોમાં રોષ
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા પંથકના સહકારી આગેવાનના મૃત્યુ બાદ તેમના ચાહકો દ્વારા તંત્રની પરવાનગી વગર અગ્રણીના વતન લખધીરગઢ ગામે સરકારી જમીનમાં તેમનું સ્ટેચ્યુ મુકવામાં આવતા ટંકારાના જાગૃત નાગરીકે સરકારી જમીનમાં દબાણ અંગે વાંધો ઉઠાવતા ભારે વિવાદ સર્જાયો હતો અને તંત્રની મુંઝવણ વધી હતી. અંતે આ મામલે ટંકારા મામલતદારે સરકારી જમીન ઉપર થયેલુ દબાણ ખુલ્લુ કરી પ્રતિમા હટાવી લેવા લેખિત હુકમ ફટકાર્યો હતો અને દંડ પણ ફટકાર્યો હતો. સહકારી ક્ષેત્રે દેશની ટોચની ગણાતી કૃભકો, ઈફકો, નાફેડ જેવી સંસ્થાની કમાન પોતાના હાથમાં રાખનારા ટંકારા પંથકના વતની એવા વાઘજીભાઈ બોડાનું વર્ષ 2021 માં અવસાન થયા બાદ તેમની પ્રતિમા તેમના વતન લખધીરગઢમાં સ્થાપવામાં આવી હતી.
- Advertisement -
જો કે તેના માટે સરકારી જમીન પર દબાણ કરાયું હોવાનો બાદમાં ઘટસ્ફોટ થયો હતો જેથી આ સ્ટેચ્યુ સામે મૂળ ટંકારાના અને હાલ રાજકોટ વસતા ભરતભાઈ એલ સોલંકીએ વાંધો ઉઠાવ્યો હતો અને આ સરકારી જમીન કોઈની જાગીર નથી તેમ ગણાવી જમીન ખુલ્લી કરાવવા તંત્ર સામે ખુલ્લી લડત માંડતા અંતે તંત્રની મુંઝવણ વધી હતી. આખરે ટંકારા મામલતદાર તંત્ર હરકતમાં આવ્યુ હતું અને તપાસ કરી લખધીરગઢના રે.સ. નં. 143/1 પૈકી 1 વાળી સરકારી જમીનમા તંત્રની પરવાનગી વગર દબાણ કર્યાનું જણાતાં સીતારામ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ ઓધવજીભાઈ પટેલ સામે મામલતદાર કે. જી. સખીયાએ મામલતદાર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચલાવી સ્ટેચ્યુ દુર કરવા અને સરકારી જમીન ખુલ્લી કરવા હુકમ કર્યો હતો અને જંત્રી મુજબ રૂપિયા 443 નો દંડ ફટકાર્યો હતો.